પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને ગુરૂવારે કહ્યું કે બોર્ડ સુરક્ષાનો ખતરો હોવા છતા પોતાની ટીમને ભારત મોકલવા તૈયાર છે. તેમણે કહ્યું કે 'અમે ભારતમાં ક્રિકેટ રમવા માટે તૈયાર છીએ પરંતુ BCCI પોતાના દેશમાં પણ અમારી સાથે રમવા માટે તૈયાર નથી.'
શહરયારે કહ્યું કે "ICCનું પણ માનવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે ક્રિકેટ સિરીઝ એ ક્રિકેટની દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ સિરીઝ છે. આ સિરીઝથી ઘણી કમાણી થાય છે. અમે અમારા કાર્યક્રમ મુજબ કામ કરીશું પરંતુભારતની સાથે સિરીઝ ન રમાવાથી અમને નાણાંકીય નુકશાન થાય છે."
પીસીબીના અધ્યક્ષે કહ્યું કે ' BCCIની સાથે થયેલા કરારમાં ક્યાંય નથી લખ્યું કે ભારત સરકારની પરવાનગી મળ્યા બાદ જ પાકિસ્તાન સાથે સિરીઝ રમવામાં આવે.'
વધુમાં તેમણે જણાવ્યું કે 'આ મામલે પાકિસ્તાન દ્વારા લખવામાં આવેલા પત્રનો ભારત તરફથી કોઇ જવાબ મળ્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007 પછીથી સંપૂર્ણ સિરીઝ નથી થઇ. પાકિસ્તાન 2012માં વનડે અને T20 મેચ રમવા આવી હતી.'