બર્લિન: જર્મનીએ આતંકવાદી હુમલા રોકવાના હેતુથી મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરાતા બુરખા પર આંશિક રીતે પ્રતિબંધને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સુરક્ષા સાથે જોડાયેલા અન્ય ઉપાયોને પણ મંજૂરી અપાઈ ગઈ છે. નવા કાયદા મુજબ સપ્ટેમ્બરમાં યોજાઈ રહેલી ચૂંટણીઓ અને જર્મનીમાં ઘણા જેહાદી હુમલાઓને ધ્યાનમાં રખાયા છે. તાજેતરમાં બર્લિનની એક માર્કેટમાં ટ્રક નીચે કચડીને એક આતંકીએ ૧૨ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
જર્મનીમાં પણ કેટલીક દક્ષિણપંથી પાર્ટીઓ ફ્રાન્સની જેમ બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહી હતી પરંતુ જર્મની સરકારે બુરખા પર અાંશિક પ્રતિબંધને જ મંજૂરી આપી છે. આ પ્રતિબંધ ડ્યુટી કરતી વખતે ચૂંટણી અધિકારીઓ મિલિટ્રી અને જ્યુડિશિયલ સ્ટાફ સહિત સરકારી અધિકારીઓ પર લાગુ થશે.
સંપૂર્ણ રીતે ચહેરો ઢાંકવા પર લાગેલા પ્રતિબંધમાં હેલ્થ વર્કર અને પોલીસ અધિકારીને છૂટ અપાઈ છે. હેલ્થ વર્કરને ઈન્ફેક્શનથી ખુદને બચાવવા માટે અને પોલીસ અધિકારીઓને પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા ઢાંકવાની પરવાનગી હશે. લોકોએ એ સમયે પોતાના ચહેરા પરથી પરદો હટાવવો પડશે જ્યારે તેમના ઓળખના દસ્તાવેજ સાથે તેમના ચહેરાને મેળવવાનું હશે.
ઉલ્લેખનીય છે કે જર્મનીએ ૨૦૧૫થી ૧૦ લાખ શરણાર્થીઓને પોતાના ત્યાં આશરો આપ્યો છે. શરણાર્થીઓમાં મોટા ભાગના મુસ્લિમ દેશોના લોકો છે. મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવવાથી આતંકવાદનો ખતરો વધ્યો છે. સુરક્ષાના જે ઉપાયોને મંજૂરી અપાઈ છે તેમાં ઈલેક્ટ્રોનિક એન્કલબ્રેસ્લેટ્સનો ઉપયોગ પણ સામેલ છે. જે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઉપયોગમાં લેવાતું ડિવાઈસ છે. જર્મનીએ આ સુધારો બર્લિનમાં થયેલા ૧૯ ટ્રક હુમલા બાદ કર્યો છે.