નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલ CRPF જવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
હિન્દુસ્તાન ટાઈમ્સમાં ગૌતમ ગંભીરે એક કોલમ લખી છે. જેમાં તેણે લખ્યું છે "બુધવારે સવારે મેં છાપા હાથમાં લીધા તો તેમાં CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનોની દીકરીઓના હૃદયદ્રાવક દ્રશ્યો હતા. એકમાં છોકરી તેના શહીદ પિતાને સલામ કરી રહી હતી. જ્યારે બીજામાં યુવાન દીકરી ભારે વિલાપ કરી રહી હતી જેને તેના પરિવારજન શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં."
ગૌતમ ગંભીરે ઉમેર્યું હતું કે "તેમણે શહીદ થયેલ તમામ 25 જવાનોના બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે. મારી ટીમે આની ઉપર કામ કરવાનું શરુ કરી દીધું છે. ટૂંક સમયમાં હું તેમાં થયેલી પ્રગતિ અંગે જણાવીશ."
હુમલા બાદ ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું "છત્તીસગઢ કાશ્મીર પૂર્વોત્તર શું આપણને જગાડવા હજુ ચેતવણીઓને જરૂર છે કે દેશ બહેરો થઈ ગયો છે. મારા દેશવાસીઓનો જીવ એટલો સસ્તો નથી. કોઈકે તો કિંમત ચૂકવવી જ રહી." CRPFના જવાન સાથે કાશ્મીરના હુલ્લડખોરોએ ગેરવર્તાવ કર્યો હતો અને મારઝૂડ કરી હતી. ત્યારે ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું હતું "મારી સેનાના જવાનને મારવામાં આવેલી દરેક થપ્પડ બદલ કમ સે કમ 100 જેહાદીઓને મારી નાખો. જેમને કોઈને આઝાદી જોઈતી હોય તેઓ અત્યારે જ છોડી જાય. કાશ્મીર અમારું છે."