અમ્પાયર સાથે દલીલબાજી કરવા બદલ રોહિત શર્માને 50 ટકા મેચ ફીનો દંડ કરાયો. વાનખેડે સ્ટેડિયમ ખાતે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ ટીમ સામેની આઈપીએલ-10 લીગ મેચ દરમિયાન અમ્પાયરના એક નિર્ણય સામે અસંતોષ વ્યકત કરવા બદલ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને એની મેચ ફીની 50 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અમ્પાયર સાથે રોહિતની દલીલબાજીની ઘટના મુંબઈના દાવની અને મેચની છેલ્લી ઓવર વખતે બની હતી. મુંબઈને જીત માટે તે ઓવરમાં 17 રન કરવાની જરૂર હતી. એ ઓવર પુણેના જયદેવ ઉનડકટે ફેંકી હતી.
મુંબઈ સામે જીત માટે 161 રનનો ટાર્ગેટ હતો. ઉનડકટે ત્રીજો બોલ ઓફ્ફ સ્ટમ્પની બહાર ફેંકયો હતો અને રોહિતે એને એમ સમજીને છોડી દીધો હતો કે અમ્પાયર એને વાઈડ બોલ જાહેર કરશે. પણ અમ્પાયર એસ. રવિએ એને વાઈડ બોલ ઘોષિત કર્યો નહોતો. એ નિર્ણયથી નારાજ થયેલો રોહિત ચાલીને અમ્પાયર પાસે ગયો હતો અને ગુસ્સામાં પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.