દિલ્હીઃ એક બાજુ કેન્દ્ર સરકારે હાલમાં જ કહ્યું હતું કે તેની 36 યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ ફરજિયાત હશે ત્યારે સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ જણાવી દીધું કે સરકારની સામાજિક યોજનાઓ માટે આધારકાર્ડને ફરજિયાત ન કરી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા અથવા બેંકમાં ખાતું ખોલાવવા માટે આધારકાર્ડનો ઉપયોગ રોકી શકાય નહીં.
સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરતા કોર્ટે જણાવ્યું કે સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓના લાભને આપવા માટે આધારને અનિવાર્ય બનાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે આધારને પડકારનારી અરજીઓની સુનાવણી માટે સાત જજોની એક પેનલનું ગઠન કરવાનું છે જે હાલ સંભવ નથી.
પરંતુ ત્યાં સુધી આધારકાર્ડના અભાવે કોઈ પણ નાગરિકને સામાજિક યોજનાઓના લાભથી વંચિત રાખવામાં ન આવે. પણ સાથે સુપ્રીમ કોર્ટે એ પણ ઉમેર્યું હતું કે બેંકનું ખાતું ખોલવા જેવી અન્ય સેવાઓ માટે આધારનો ઉપયોગ ન કરવા માટે કેન્દ્રને નિર્દેશ ન આપી શકાય.