ગુજરાતમાં હાલમાં જ પોલીસે આતંકીઓને ઝબ્બે કર્યા છે અને યાત્રાધામ અંબાજી ખાતે પકડાયેલા એક્સપ્લોસીવ બાદ નર્મદા SOG પોલીસે બાતમી આધારે બે આરોપીઓને વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી પાડ્યા છે. આ બે આરોપીઓ પાસેથી મોતના સામાન જેવા 31 જીલેટિન સ્ટિક અને ડિટોનેટર ઝડપાયા છે.
હાલમાં જ ગુજરાતમાંથી ISISના બે આંતકીઓ અને દાઉદ ગેંગના 4 શાર્પશૂટર કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પકડાઈ ગયા બાદ યાત્રાધામ અંબાજી ખાતેથી એકપ્લોસીવ પકડ્યા બાદ નર્મદા SOG પોલીસે મોતના સામાન સમા વિસ્ફોટક પદાર્થ સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા છે. નર્મદા SOG પોલીસને મળેલ બાતમી આધારે ફૂલવાડી ગામના ભરતભાઇ ગોપાલભાઈ તડવીના ઘરમાંથી 8 જીલેટિન સ્ટિક અને 4 જેટલાં ડિટોનેટર પકડી પાડ્યા હતા. આટલી સંખ્યામાં મોતના સામાનને જોતા ચોંકી ઉઠેલી SOG પોલીસે ભરત તડવીની કડક હાથે પૂછપરછ કરી હતી. જે આધારે તેના સાથી એવા નાનજી ઉર્ફે પિન્ટુ પરભુ ભાઈ તડવીની ધરપકડ કરીને કુલ મળીને 31 જેટલા જીલેટિન સ્ટિક અને ડિટોનેટર કબ્જે કર્યા છે.
આરોપીઓ પાસેથી આટલી મોટી સંખ્યામાં બૉમ્બની સામગ્રી મળી આવતા પોલીસે આ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરતા એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ પથ્થરની ખાણમાં મજુરીએ જતા હતા. ત્યાંથી આ ભયંકર એકપ્લોઝીવ તફડાવી લાવ્યા હતા. અને મચ્છી મારી કરનારને આ લોકો વિસ્ફોટક વેચાણ કરતા હતા. હવે પોલીસ આ બન્ને આરોપીને કોર્ટમાં રજુ કરીને પોલીસ રિમાન્ડ મેળવીને આરોપીઓ અન્ય કોઈ દેશવિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલગીરી અંગે તપાસ હાથ ધરશે.
ગુજરાત પોલીસની સતર્કતા બાદ એક પછી એક ઘટના સામે આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી એક સામાન્ય વ્યક્તિઓ પાસેથી આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટક મળી આવતા સરકારે હજુ પણ એકપ્લોઝીવ એક્ટને વધુ મજબૂત બનાવવો જોઇએ. કારણકે જો આ એક જીલેટિન સ્ટિક મોટી કરૂણાંતીકા સર્જી શકે છે.