પાટીદાર નેતા હાર્દિક પટેલની આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકની સભાને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તેને પગલે સમગ્ર અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર પોલીસ દ્ધારા એક જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની સભાને લઇને નિકોલ સહિતના પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં રહેતા પાટીદારોમાં ઉત્સાહ છે. નિકોલ વિસ્તારમાં પાટીદારો બહુમતી ધરાવે છે. આજે હાર્દિક નિકોલ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલના પ્લોટ ખાતે સાંજે છ વાગ્યે જાહેરસભાને સંબોધશે. જોકે નિકોલ પોલીસ સ્ટેશન તરફ ફક્ત મૌખિક મંજૂરી આપવામાં આવી છે.
હાર્દિકની અમદાવાદ પ્રવાસને લઇને કોઇ તોફાનો ના થાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ૨૫ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ સુધી સમગ્ર અમદાવાદમાં શહેરમાં ૧૪૪ની કલમનો કડક અમલ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. દરમિયાન પાસ દ્વારા એવી ચીમકી અપાઈ હતી કે પોલીસ મંજૂરી નહીં આપે તો પણ હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવશે. અને જો પોલીસ પાટીદારોની અટકાયત કરશે તો પાટીદાર વિસ્તારોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવશે.