લેઉઆ પટેલ સમાજે ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઈતિહાસ સર્જ્યો હતો. કાગવડમાં ખોડિયાર માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 58 લાખ લોકો ઉમટયા હતા. આ ઘટનાને હવે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે કેસ સ્ટડી તરીકે ભણાવવામા આવશે. IIM-અમદાવાદ આ મહોત્સવના વહિવટ અને સંચાલનનો અભ્યાસ કરશે. પબ્લિક સિસ્ટમ્સ ગ્રુપના ફેકલ્ટી પ્રોફેસર સુંદરવલ્લી નારાયણ સ્વામી આ કેસ સ્ટડીને હાથ ધરશે. સૌથી વિશાળ હિંદુ મંદિરોમાંથી એક એવા ખોડલધામનું સંચાલન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરવામા આવે છે. આ મહોત્સવમાં પાંચ લાખ લોકોએ એક સાથે એક જ સ્થળે રાષ્ટ્રગીત ગાઈને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. આ ઉપરાંત તા.17થી 21 જાન્યુઆરી એમ પાંચ દિવસ દરમિયાન 75 લાખ લોકોએ આ સ્થળની મુલાકાત લીધી હતી. દર્શનાર્થીઓની ગણતરી માટે મંદિરના પ્રવેશદ્વારે 125 સેન્સર્સ લગાવવામાં આવ્યા હતા. મહોત્સવ દરમિયાન કલાક દીઠ 1.5 લાખ દર્શનાર્થીઓને પ્રસાદ પહોંચાડાયો હોવાનું કહેવાય છે. એ ઉપરાંત 5 લાખ લોકોએ એક જ સ્થળ પર રાષ્ટ્રગીત ગાઇને વિશ્વ રેકોર્ડ પણ તોડયો હતો.
પ્રોફેસર સુંદરવલ્લી જણાવે છે કે "ટ્રસ્ટે IIM-અમદાવાદના કેસ યુનિટનો સંપર્ક કર્યો હતો. તેમણે સંસ્થા અને તેમની પ્રવૃતિઓ પર કેસ સ્ટડી થાય તેવી ઈચ્છા દર્શાવી હતી. આ અભ્યાસમાં ધાર્મિક પાસાઓને આવરવામાં નહીં આવે પરંતુ સંચાલન અને વ્યવસ્થા પર ફોકસ કરવામા આવશે. અને જો સંસ્થાએ પોલિસી ઘડી હશે તો તેનો અભ્યાસ કરવામા આવશે." આ કેસ સ્ટડી વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણાવવામાં આવશે. સુંદરવલ્લી જણાવે છે કે "મારો રસ ટ્રસ્ટની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરવામા છે. આ ઉપરાંત તે ક્યા સ્કેલ પર કામ કરે છે સ્કોપ કેટલો છે સમાજ પર તેની અસર પડકારો અને આ પડકારોનો સામનો કઈ રીતે કરે છે આ બાબતે અભ્યાસ હાથ ધરીશું."
ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે ખુબ જ સુઘડતાથી દર્શનાર્થીઓ માટે ભોજન રહેઠાણ પાર્કિંગ અને ટ્રાફીક મેનેજમેન્ટની વ્યવસ્થા કરાઈ હતી. જેનો પણ હવે IIM-અમદાવાદ અભ્યાસ કરશે.