એરટેલે હવે દેશમાં રૂપિયા 3 000 કરોડ રોકાણ સાથે પેમેન્ટ બેંકે શરૂ કરવાની જાહેરાત કરી. એરટેલ દ્વારા પેમેન્ટ બેંકની જાહેરાત પ્રસંગ પર બચત ખાતામાં 7.25 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની ઉપસ્થિતિમાં એરટેલ પેમેન્ટ બેંક લોન્ચ કરી. આ સેગમેન્ટમાં એરટેલ પેમેન્ટ બેંક પ્રથમ છે જેણે પોતાનું ઓપરેશન શરૂ કર્યું છે. હાલમાં તેને પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ચાર રાજ્યમાં ચલાવવામાં આવી હતી. એરટેલે સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત રાજસ્થાનમાં 10 000 દુકાનો દ્વારા 23 નવેમ્બર 2016ના રોજ પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી. બાદમાં તેને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કર્ણાટક આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં શરૂ કરવામાં આવી.
એરટેલ બેંક પ્રથમ હતી જેને 11 એપ્રિલ 2016ના રોજ રિઝર્વ બેંક તરફથી પેમેન્ટ બેંકનું લાયસન્સ મળ્યું હતું. કંપનીની ભારતી એરટેલના રાષ્ટ્રીય વિતરણ નેટવર્કમાં ફેલાયેલ 2.5 લાખ રીટેલ દુકાનો દ્વારા પેમેન્ટ બેંકનું વિસ્તરણ કરવાની યોજના છે. પેમેન્ટ બેંક જમા અને રેમીટન્સ લઈ શકે છે પરંતુ તે કોઈને લોન આપી શકતી નથી. આ નવી બેંક દ્વારા બચત ખાતા પર વધારે વ્યાજ આપવાની જાહેરાતથી બેન્કિંગ સેક્ટરમાં સ્પર્ધા વધવાની ધારણા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વોડાફોન ગ્રુપ પીએલસી અને આઇડિયા સેલ્યૂલરને પણ પેમેન્ટ બેંકનું લાયસન્સ મળ્યું છે. એરટેલ પેમેન્ટ બેંકમાં પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકનો સામાન્ય હિસ્સો છે.