લાંબા સમયથી રેલવેમાં થઈ રહેલા અકસ્માતો બાદ તેની સુરક્ષા પર પણ અનેક સવાલો ઉઠે છે. તેવામાં રેલવે દ્વારા પેસેન્જરોને બમણું વળતર આપવાની જાહેરાત કરાઈ છે. જેથી હવે રેલ્વે અકસ્માતમાં મૃત્યું પામનારા કે ઈજાગ્રસ્ત થનારા યાત્રીઓને મળનાર રકમ કરતા બમણી રકમ મળશે. રેલ્વેનો પહેલા એવો નિયમ હતો કે કોઈ યાત્રીનું અકસ્માતમાં મૃત્યું થાય તો તેના પરિવારને 4 લાખનું વળતર આપવામાં આવતું હતું પરંતુ નવી જાહેરાત પછી વળતરની રકમ ડબલ એટલે કે 8 લાખ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે 19 વર્ષ પછી આ નિર્ણય લીધો છે.
રેલ્વેએ જાહેર કરેલો નવો નિયમ નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2017થી લાગૂ પડશે. નવા નિયમ પ્રમાણે રેલ્વે અકસ્માતમાં જો કોઈ યાત્રી બન્ને હાથ કે પગ ગુમાવશે આંખ ગુમાવે અથવા ચહેરો ક્ષતવિક્ષત થાય કે કાયમી બહેરાશ આવે તો પણ 4 લાખને બદલે 8 લાખ વળતર આપવામાં આવશે. રેલવેએ આ ઉપરાંત જુદા જુદા પ્રકારની 34 ઇજાના કિસ્સામાં પણ વળતરની રકમ 100 ટકા વધારીને 64 હજારથી 8 લાખ કરાઈ છે.
2015માં પણ દિલ્હી હાઈકોર્ટે રેલવે મંત્રાલયને વળતરની રકમમાં વધારો કરવાની સલાહ આપતા ટકોર કરી હતી કે વિમાન અકસ્માત અને રેલવે અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોને અપાતા વળતર વચ્ચે આભ જમીનનો તફાવત છે. વિવિધ હાઈકોર્ટની ટકોર અને અકસ્માતોની સંખ્યામાં વધારાને પગલે આખરે રેલવેએ નિયમોમાં સુધારા કર્યા છે.