નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા પ્રથમ મોનિટરી પોલિસી જાહેર કરવામાં આવી છે. મોનિટરી પોલિસીની સમીક્ષા કરતા RBIએ વ્યાજદરોમાં કોઈ જ ફેરફાર કર્યા નથી. RBIના એલાન સાથે જ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતની તમામ આશાઓ પર પાણી ફેરવાઈ ગયું છે. જેની અસર શેર માર્કેટ પર પણ જોવા મળી હતી. RBI દ્વારા નાણાંકીય વર્ષ 2016-17માં ગ્રોથ અનુમાન પણ 7.6%થી ઘટાડીને 7.1% કરવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યું હતું કે નોટબંધીના પ્રભાવ સામે કેન્દ્રિય બેંક રેપો રેટમાં 0.25%નો કાપ મૂકી શકે. જોકે RBI દ્વારા રેપો રેટ 6.25% રાખવામાં આવ્યો. જેથી સસ્તા લોનની રાહ વધુ સમય માટે લંબાઈ છે. રેપો રેટ યથાવત રાખતા હવે વ્યાજ દરમાં પણ કોઈ જ પ્રકારનો ઘટાડો નહી થાય.
આ સાથે જ RBI દ્વારા નોટબંધીને લઈને પણ કેટલીક મહત્વની જાણકારી આપવામાં આવી હતી. RBI ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું હતુ કે અત્યાર સુધીમાં 11.55 લાખ કરોડ રૂપિયાની જુની નોટ બેંકમાં જમા થઈ છે. ઉર્જિત પટેલે નોટબંધીના ફેંસલાનું પણ સમર્થન કર્યુ હતું તેમણે કહ્યું છે નોટબંધીના ફેંસલાથી સિસ્ટમમાં રહેલી બ્લેકમની અને ફેક કરન્સી પર રોક લગાવવા આ નિર્ણય જરૂરી હતો. લોકોને થતી પરેશાની સામે તેમણે કહ્યું કે નિર્ણયને કોઈ પણ પ્રકારની ઉતાવળ વિના લાગુ કરવામાં આવ્યો છે. સરકાર અને RBIને અગાઉથી જ અંદાજો હતો કે લોકોને થોડી પરેશાનીનો સામનો પડશે. તેમણે કહ્યું કે RBI સદંતર નોટની સપ્લાઈમાં વધારો કરી રહી છે. 2 હજારની નોટનું પણ સરક્યુલેશન વધારવામાં આવી રહ્યુ છે. તે ઉપરાંત 500 અને 100 રૂપિયાની નવી નોટની પ્રિન્ટિગમાં પણ વધારો કરાયો છે.
નોટબંધીની પરેશાની વચ્ચે 4 લાખ કરોડ રૂપિયાની કિંમતની નવી નોટ છપાઈ છે અને લોકો સુધી પહોંચાડવામાં આવી છે. તો 1 હજારની નોટ પણ આગામી સમયમાં RBI લાવી શકે છે. સાથે જ જાન્યુઆરીથી માર્ચ 2017 સુધીમાં 5 ટકા મોંઘવારીનો લક્ષ્ય આંકવામાં આવ્યો છે.