રાજકોટના કોઠારીયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં એક પુત્રએ તેના માતા - પિતાની ગળુ કાપી હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે આજે સવારે બનેલી આ ઘટનાની જાણ પરિવારને મોડી રાત્રે થતા પરિવાર ભાંગી પડ્યો હતો. જોકે આ ઘટના બાદ આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયી હતી અને હત્યા અને આપઘાતની ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
રાજકોટના કોઠારીયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં રહેતા જયદીપભાઈ રાઠોડ નામના યુવાને પ્રથમ પિતા રમેશભાઈ અને માતા મંજુબેનની ગળું કાપી નિર્મમ હત્યા નિપજાવી દીધી હતી અને ત્યારબાદ પોતે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જોકે આ સમગ્ર ઘટના બાબતે પરિવાર અજાણ હતો તે દરમ્યાન જયદીપભાઈના બનેવી ચેતનભાઈ ગોહેલ જયદીપભાઈને ફોન કરતા હતા પરંતુ ફોન રિસીવ ન થતા ચેતનભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને ત્યારબાદ સાળા જયદીપભાઈને ત્યાં પહોંચી ગયા હતા તો અંદરથી બારણું બંધ હતું અનેક વખત દરવાજો ખટખટાવવા છતાં દરવાજો ન ખુલતા બારણું તોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાસુ મંજુબેન સસરા રમેશભાઈ અને સાળા જયદીપની લાશ જોઈ ચેતનભાઈ પર જાણે આભ તૂટી પડ્યું હતું.
આ સમગ્ર ઘટના મામલે આજીડેમ પોલીસને જાણ થતા એસીપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો ગણેશનગરમાં પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે જયદીપભાઈ મદ્રાસ કાફે ચલાવે છે અને આર્થિક સંકડામણને કારણે જયદીપભાઈએ આ પગલું ભર્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે. જોકે પોલીસને કોઈ પણ પ્રકારની સ્યુસાઇડ નોટ મળી આવી નથી તેથી હત્યા અને આપઘાતની ઘટના પાછળનું સાચું કારણ હજુ જાણવા મળ્યું નથી.
શા માટે એક પુત્રએ પોતાની જન્મદાતા માતા અને છત્રછાયા સ્વરૂપ પિતાની નિર્મમ હત્યા નિપજાવી ? એવું તે શું કારણ હતું કે પુત્ર જયદીપભાઈએ માતા મંજુબેન અને પિતા રમેશભાઈને મોતને ઘાટ ઉતારવા પડ્યા ? પારિવારિક કારણ કે આર્થિક સંકડામણ ? આ તમામ મુદાઓ પર હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.