ઇસ્લામાબાદ: અફઘાનિસ્તાનના પ્રદર્શનકારીઓના એક જૂથ દ્વારા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર આવેલા બાબ એ દોસ્તી (ફ્રેન્ડશીપ ગેટ) દરવાજા પર હુમલો કર્યો હતો અને પાકિસ્તાનના ધ્વજને સળગાવ્યો હતો અને ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. તેમજ આઝાદી સમર્થકોએ બલૂચિસ્તાનના શહીદ માનવામાં આવતા નેતા અકબર બુગતીની સાથેપીએમ મોદીનો ફોટો પણ લહેરાયો હતો. ત્યારબાદ પાકિસ્તાન દ્ધારા અફઘાનિસ્તાન સાથે જોડાયેલી સરહદને અનિશ્વિતકાળ માટે બંધ કરવામાં આવી છે. હાલમાં બંન્ને દેશો વચ્ચેનો વ્યાપાર બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે બલૂચિસ્તાનમાં છેલ્લા 4 દિવસોથી પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનીઓ 97મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં સરહદ પારના શહેર સ્પિન બોલ્દાકના રસ્તાઓ પર માર્ચ કર્યા પછી બાબ એ દોસ્તી દરવાજા પર એકત્રિત થયા હતા. તેમના હાથમાં બેનર અને પોસ્ટર હતા જેની ઉપર પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હતા.