ઉપલેટા તાલુકામાં પ્રાથમિક શાળાના 18 બાળકોને દૂધ આપ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉપલેટાથી 8 કિમી દૂર મોજીરાગામની પ્રાથમિક શાળામાં ચાલતી આંગણવાડીમાં નાસ્તાના બદલે દૂધના પાઉચ આપવામાં આવ્યા હતા. દૂધમાં ભેળસેળ હોવાથી 18 બાળકોએ દૂધ પીધા બાદ અતિશય પેટમાં દુખાવાની ફરીયાદ કરી હતી. જે પછી તમામ બાળકોને 108 મારફતે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમની પ્રાથમિક તપાસ બાદ જનરલ વોર્ડમાં દાખલ કરી યોગ્ય સારવાર કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે.