સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં પણ લોકો પાણીની ભારે કિલ્લત મહેસૂસ કરી રહ્યા છે. શહેરમાં આવેલી એક આખી વસાહત પાણી વિના પ્યાસી છે અને વિપક્ષે ટેન્કરની મદદથી પાણી પુરું પાડવાની માગણી કરી છે.
સાંબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરની વસ્તી છે આશરે 70 હજાર. હિંમતનગર પાલિકા દ્વારા અગાઉ શહેરમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછી અહીં 900 આવાસો બનાવવામાં આવ્યા હતા. જેમાંના હસનનગર અને વણઝારાવાસના આવાસોમાં હાલ 432 પરિવારો વસવાટ કરી રહ્યા છે. ફ્લેટ સિસ્ટમના આવાસોમાં ગેસની પાઈપલાઈન સહિત અનેક સુવિધાઓ આપવાની વાત સાથે આ આવાસોને તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાયા હતા. જો કે હાલ તો અહીં પીવાના પાણીનાં પણ સાંસા છે. હસનનગરમાં વસતા લઘુમતીઓના પરિવારોને પાણી તો મળે છે પરંતુ ક્યારેક સવારે 4 વાગ્યે તો ક્યારેય ભરબપોરે. એક તો પાણી અનિયમિત આવે છે એમાં વળી ખૂબ ઓછું અને ડહોળા પાણીની ફરિયાદો પણ થઈ રહી છે.
આ તરફ શહેરના છાપરિયા વિસ્તારમાં આવેલા આવાસોમાં 132 પરિવારો વસે છે. જેમને પીવાના પાણી માટે 2 ટાંકીઓ નંખાઈ છે. પરંતુ ટાંકીઓનું પાણી અમુક લોકો સુધી પહોંચે છે અને અમુક લોકો સુધી નથી પહોંચતું. ગીરધરનગર વિસ્તારમાં 336 પરિવારો રહે છે. જેમને 2 દિવસે 10 હજાર લીટર પાણી આપવામાં આવે છે. અહી પાણીનો બોર પણ છે. તેમ છતાં પૂરતુ પાણી ન મળવાનું સાંભળવા મળી રહ્યું છે. હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે પાઈપલાઈન નંખાઈ રહી છે. જેના માટે અહીંના રસ્તા ખાડામાં તબદીલ થઈ ગયા છે. ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે સ્થાનિકોને મુશ્કેલીઓ પડશે. તે સ્પષ્ટ છે. વિપક્ષનું કહેવું છે કે હાલમાં ટેંકર દ્વારા પાણી પહોંચાડવામાં આવે. તો જ ઉનાળાના દિવસો વિતી શકે તેમ છે.
આ તરફ પાલિકા પ્રમુખ દાવો કરી રહ્યા છે કે શહેરમાં 8 ઓવરહેટ ટાંકી. 30 બોર અને 6 સંપ બનાવવામાં આવ્યા છે. હાલ હિંમતનગરમાં પાણીનો વપરાશ 1 લાખ લીટર જેટલો છે.. જેની સામે પાણી અપાય છે 1 લાખ 20 હજાર લીટર. વધારાનું 20 હજાર લીટર પાણી નર્મદાનું છે. પાલિકા પ્રમુખના મતે જે નવા વિસ્તારો છે ત્યાં પણ પૂરતુ પાણી અપાય છે.એક તરફ પાલિકા પ્રમુખ દાવો કરી રહ્યા છે કે શહેરને પૂરતુ પાણી અપાઈ રહ્યું છે અને ઉનાળાના દિવસોમાં કોઈ કચાશ રહેશે નહી.. પરંતુ સામે એવા અનેક વિસ્તારો છે.. જ્યાં વસતા લોકોને પાણીનાં દર્શન દુર્લભ બની ગયાં છે. આ સ્થિતિમાં ઉનાળો જેમ બને તેમ જલદી પસાર થાય તેવી આશા અહીંના રહેવાસીઓ રાખી રહ્યા છે.