ઊનાળાની કાળઝાળ ગરમીમાં ડામરનાં રસ્તાઓ પર પગ મુકતાંજ ડામરની ગરમી મહેસુસ થાય છે. અને એમાં પણ ગરમ થઈ પિગળેલાં ડામરનાં પીપ માં જો કોઈ જાનવર પડે તો તેની શું હાલત થાય. અમદાવાદનાં રન્નાપાર્ક વિસ્તારમાં આવી જ ઘટના બની. પીગળેલાં ગરમ ડામરમાં ત્રણ શ્વાન પડતાં ચોંટી ગયા. જીવદયા ટ્રસ્ટે ત્રણેક શ્વાનને બચાવવા ભારે જહેમત ઉઠાવી.
અમદાવાદનાં રન્નાપાર્ક વિસ્તારમાં આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રોડ બની રહ્યો છે. દરમિયાન ડામર ભરેલા પીપમાં ત્રણ શ્વાન ફસાઈ ગયા. ઉનાળાની ગરમી અને બીજી બાજુ પીગળેલા ડામરની ગરમી. પીગળેલ ડામરને કારણે શ્વાન પીપ સાથે ચોંટી ગયા.. અને ભારે કરૂણા સર્જાઈ. આ મૂંગા જીવના આક્રંદથી સોસાયટીના રહીશો દોડી આવ્યા અને શ્વાનને કાઢવાનો પ્રયાસ કર્યો. રહીશોએ જીવદયા ટ્રસ્ટને જાણ કરી. જીવદયા ટ્રસ્ટન સભ્યોએ પણ આ શ્વાનને જીવતા બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી. ત્રણેય શ્વાનને પીપમાંથી કાઢીને સારવાર માટે જીવદયા હોસ્પીટલ ખાતે લઈ જવાયા.
ઊનાળાની બળબળતી ગરમીમાં જયારે લોકો ત્રાહીમામ પોકારી જાય છે. તેવામાં નિસહાય અને પશુ પક્ષીઓનાં રક્ષણ માટે જો થોડી તકેદારી અને જાગૃતતા કેળવવામાં આવે તો આવી ઘટનાઓ જરૂર ટાળી શકાય.