મહેસાણાની દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિ મામલે ડેરીના ચેરમેન સહિત 19 સભ્યોએ મહેસાણા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે..તો ડેરીના ડિરેક્ટર નીશિથ બક્ષીના 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. આ મામલે વધુ સુનાવણી 3 જાન્યુઆરીએ હાથ ધરાશે.
મહેસાણાની દૂધસાગર ડેરીમાં રૂપિયા 22.50 કરોડની કિંમતના સાગરદાણની નાણાકીય ગેરરીતિ મામલે ડિરેક્ટર નીશીથ બક્ષીને કોર્ટમાં રજૂ કરાયા હતા. ધરપકડ કરાયેલાં ડેરીનાં ચીફ એકાઉટન્ટ આર.એ. મોદીનાં બે દિવસનાં રીમાન્ડ પૂર્ણ થતાં તેમજ મંગળવારે ધરપકડ કરાયેલાં ડેરીનાં મેનેજીંગ ડીરેક્ટર નિશીથ બક્ષીને એલસીબી પોલીસે મહેસાણાની ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતાં. બંને અધિકારીઓ પાસેથી સાગરદાણનાં હિસાબોનાં અનેક દસ્તાવેજો મેળવવાનાં હોઈ કોર્ટ સમક્ષ બંને અધિકારીઓનાં 14 દિવસનાં રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ બી.એન.પટેલે નિશીથ બક્ષીનાં ત્રણ દિવસનાં રીમાન્ડ મંજૂર કર્યા હતાં. જ્યારે ચીફ એકાઉટન્ટ આર.એ.મોદીનાં રીમાન્ડ નામંજૂર કરીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધાં છે.