સુરત પોલીસે નારાયણના ઘરેથી મળેલા દસ્તાવેજોને તપાસીને સંપતિનો આંક જાહેર કર્યો છે. નારાયણના સામાન્ય ભક્તોએ તો નામ પણ ન સાંભળ્યા હોય તેવા વ્યવહારો આશારામના આ બેટાએ કર્યા છે. આ વ્યવહારોથી જ સામે આવી રહ્યો છે નારાયણની દસ હજાર કરોડની સંપતિનો આંકડો. ચાર રાજ્યો અને તેના અઢાર જિલ્લાઓમાં પથરાયેલું આ કોર્પોરેટ નહી પણ નારાયણબાબાનું સામ્રાજ્ય છે જે હવે તેમના ભક્તોને પણ નવાઈ પમાડી રહ્યું છે.
મની લોંડરીંગ ફોરેન એક્સચેંજના વ્યવહારો રોકડ વ્યવહારો ઈન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ડીલના દસ હજાર કરોડના હિસાબોનું રાઝ હવે ખુલી રહ્યું છે. ખુદ પોલીસે મેળવેલા હિસાબોમાં નારાયણની આ સંપતિનો આંકડો સામે આવ્યો છે. હજુ તો એક જ ઘરમાંથી પોલીસે મેળવેલા દસ્તાવેજોથી નારાયણની સંપતિનું આકલન કરવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સંભાળતી પોલીસે આ આંકડાઓ જાહેર કર્યા છે. આ ગણતરી કરવાની જે લોકોની જવાબદારી છે તેવા ઈન્કમ ટેક્ષ ઈ.ડી. જેવા વિભાગોની ગણતરીથી નવા ખુલાસાઓ થશે. નારાયણના ઘરેથી મળેલી હાર્ડ ડ્રાઈવ અને સીપીયુમાંથી પોલીસને નાણાકીય ગેરરીતિઓ શોધતા બે મહિના લાગ્યા છે. પોલીસને એવી પણ વિગતો મળી છે કે નારાયણે તેની બે નામી આવકોને બેનામી ધંધાઓમાં રોકી હતી જેનું વ્યાજ પણ કરોડોમાં નારાયણને મળે છે. ચાર રાજ્યોના 800 ખાતોની વિગતો પોલીસે મેળવી છે જે નારાયણના તમામ નાણાકીંય વ્યવહારોનો ખુલાસો કરી રહ્યાં છે.નારાયણે કરલા જુદા જુદા 34 ક્ષેત્રોમાં રોકાણ કર્યા છે.
પોલીસે એવો પણ પર્દાફાશ કર્યો છે કે નારાયણે રોકેલા ધંધાના નાણાથી તેને કરોડોમાં વ્યાજની આવક થતી હતી. નારાયણના આ દસ હજાર કરોડ રુપિયા કયા ~યા ધંધાની આબરુ વધારતા હતા તે જાણવું પણ રસપ્રદ બને તેવું છે.
મ્યુચ્યુઅલ ફંડ
કિસાન વિકાસપત્ર
બોન્ડ
સીક્યુરિટી
એલ.આઇ.સી
ફીક્સ ડિપોઝિટ અકાઉન્ટ
યુ.ટી.આઇમાં રોકાણ
બોન્ડ અને એલ.આઈ.સીમાં રોકાણને નામે કરવામાં આવેલા આવા પાંચ હજાર કરોડના વ્યવહારો સામે આવ્યા છે. નારાયણનું આ સામ્રાજ્ય ગુજરાત સીવાય મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને છેક દક્ષિણ ભારતના આંધ્ર સુધી પથરાયેલું છે. જમીનોમાં રોકેલી બે હિસાબ સંપતિ ભારતના 18 જિલ્લાઓમાં આવેલી છે સુરત પોલીસે આ સંપતિઓનો ચોક્કસ હિસાબ મેળવવા 18 જિલ્લાના કલેક્ટર અને પોલીસને કાગળો લખ્યા છે.
સરકારી અને બીન સરકારી જમીનોના કરોડો રુપિયાના આંકડાને પામવા તો સુરત પોલીસે મહેસુલ શાખાના અધિકારીઓની મદદ લેવી પડી છે. આ જમીનો નારાયણે ખેડૂતો અને જમીન માલીકોને છેતરીને મેળવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. એવી જ ધોખાધડી ભારતના વિદેશી વ્યવહારોની બાબતમાં ઘડાયેલા કાયદાઓ સાથે થઈ છે. ફોરેન એક્સચેંજ એન્ડ મેનેજમેન્ટ એકટ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાયદાનું સરેઆમ ઉલંલઘન સુરત પોલીસ જોઈ રહી છે જેના સંદર્ભમાં આ વિભાગના અધિકારીઓને પણ પોલીસે તપાસમાં જોડાવા વિનંતિ કરી છે.
નારાયણ અને આશારામના આ તમામ વ્યવહારો હવે જ્યારે જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આ વ્યવહારોની પાછળ છુપાયેલા નારાયણના ઈરાદાઓની જાણ મેળવવા સુરત પોલીસ મથામણ કરી રહી છે.