રાજકોટમાં રખડતા ઢોરના પ્રશ્ન માટે મહાનગરપાલિકાએ ટેકનોલોજીની મદદથી કાયદાકીય શસ્ત્ર ઉગામ્યુ છે. રાજકોટ મહાનગપાલિકા દ્વારા રખડતા ઢોરનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન થશે. અને એક ને એક ઢોર બીજીવાર પકડાશે તો તેના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
રાજકોટ શહરેમાં રખડતા ઢોરના પ્રશ્નને લઈ અનેક વિવાદો થયા છે. પ્રશાસનની ઢીલી નીતિને કારણે શહેરના નાગરિકોએ મુશ્કેલી વેઠવી પડે છે. રખડતા ઢોરોને કારણે અનેક લોકોના ભોગ લેવાયા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકામાં રખડતા ઢોરોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. અને એકને એક પશુ બીજી વખત પકડાશે તો તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. શહેરમાં અનેક વખત માલધારીઓ દ્વારા મહાનગરપાલિકાની ટીમો પર હુમલા કરવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકોટ પોલીસ દ્વારા આ સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ છે. પશુઓના બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન માટે મહાનગપાલિકા દ્વારા 300 જેટલા બિલ્લા મંગાવવામાં આવ્યા છે. પશુ રજીસ્ટ્રેશનમાં નાનામાં નાની બાબતો નોંધવામાં આવશે. કમિશનરે રખડતા ઢોરની સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન આજ કાલનો નહી પરંતુ વર્ષો જૂનો છે. પોતે ખેડૂત એવા મહાનગરપાલિકાના હાલના કમિશનરે આ અંગે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.