ગુજરાત પરિવર્તન પાર્ટીના સર્વેસર્વા એવા કેશુભાઈ પટેલે રાજીનામુ આપી દેતા નવા પ્રમુખ તરીકે ગોરધન ઝડફિયાને કમાન સોપાઈ છે. પક્ષની કારોબારીમાં બાપાએ પક્ષની જવાબદારીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. જોકે તેઓ પક્ષને માર્ગદર્શન આપતા રહેશે.
ગુજરાતના પીઢ અને વરિષ્ઠ રાજકારણી તથા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી)માંથી નિવૃત્તિની જાહેરાત કરી દેવાઇ છે. પક્ષની કારોબારી સમિતિની બેઠકમાં નવા પક્ષપ્રમુખ પદે ગોરધન ઝડફિયાની વરણી કરવામાં આવી છે. વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી સમયે મુખ્યમંત્રી નરેદ્ર મોદીના રાજકીય અસ્તિત્વ મીટાવી દેવાના એક માત્ર ધ્યેય સાથે કેશુબાપાએ રચેલી જીપીપીના અસ્તિત્વ સામે પણ હવે પ્રશ્નાર્થ ઉભો થયો છે. જીપીપી વીશે પોતાનો પ્રેમ દર્શાવતા કેશુબાપાએ જણાવ્યું હતું કે હું નિવૃત નથી થયો આજીવન જીપીપીને માર્ગદર્શન આપીશ.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે એક વર્ષ પહેલાં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. પક્ષપ્રમુખ તરીકે તેમણે પોતાના હોમ ગ્રાઉન્ડ વિસાવદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને જીત પણ મેળવી હતી.ભાજપમાં તેમના જોડાવા વિશે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે પણ આજે તેમણે જીપીપીમાંથી રાજીનામું આપતા કહ્યું કે પોતે જીપીપી છોડવાના નથી અને તેને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે. બીજા અર્થોમાં રાજકીય રીતે હવે તેમની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે તેમ માની લેવું રહ્યું. સિવાય કે હજી પણ પલટી મારે અને ભાજપ બહુ આગ્રહ કરે તો તેમાં ફરી વાજતેગાજતે જોડાઈ જાય. બીજી તરફ કેશુભાઈના પુત્ર ભરત પટેલે તાજેતરમાં જ કેસરિયા કર્યા છે..ત્યારે કેશુબાપાના રાજકીય અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે.
તો નવનિર્મિત પ્રમુખ બન્યા બાદ ગોરધન ઝડફિયાએ ઝડફિયાએ ગુજરાતની જનતા સાથે રહીને કોઈ દાગ ન લાગે તે રીતે સાથે મળીને કામ કરવા સૌને અનુરોધ કર્યો હતો. એકલ દોકલ લોકોથી પાર્ટી કે શાસન ન ચાલે. સૌને સાથે રાખીને ચાલવું જૉઇએ. આ લોકોએ પ્રજાની વેદના રજુ કરી છે. પ્રજાએ તેઓને ચૂંટીને મોકલ્યા છે તો તેઓ પ્રજાનો અવાજ ન ઉઠાવે? અહીં તો જૉ સાચું બોલો પ્રજા માટે બોલો તો જી.ઇ.બી.ની કે ઇન્કમ ટેક્ષની રેડ પડાવે શું આ લોકશાહી છે?
પ્રજાના પ્રતિનિધિ સચિવાલયમાં મળવા જાય તો ચાર કલાક બહાર બેસાડે અને મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મળવા આવે તો એક મિનિટમાં અંદર બોલાવી લે. ગરીબ માણસો ખેડૂતો સચિવાલયમાં જઇ ન શકે. વરચે કાળા કપડાવાળા બંદુકો લઇને ઉભા હોય પ્રજાના સચીવાલયમાં પ્રજા જ ન જઇ શકે.
- નર્મદા ડેમ જે કર્યું આ બધું મેં કર્યું અરે ભાઇ આ નર્મદા સરોવરનું કાર્ય કોઇએ કર્યું હોય અને આ યોજનાનો લાભ ગુજરાતને મળ્યો હોયતો માત્ર સ્વ. ધીરૂભાઇ અંબાણીના કારણે જ છે.અમારા સમયમાં ધીરૂભાઇએ પોતાની વગનો ઉપયોગ કરી અને આ યોજનાનો લાભ ગુજરાતને અપાવ્યો.
- સિઘ્ધપુરમાં ભૂંગળા નાખીને પાણી ભરીને લાખો લોકોને ભેગા કર્યા. સંતોને બોલાવ્યા લોભામણી જાહેરાતો કરી. આજે એ સિઘ્ધપુરમાં પાણીનું ટીપુ પણ નથી. ભૂંગળા કોરાકાટ પડ્યા છે. માત્ર એક કાર્યક્રમ માટે તળાવમાં પાણી ભરવામાં આવ્યું અને પછી પાણી બંધ. લોકોને કયાં સુધી છેતરવાનું કામ કરશો?
- રાજ્યમાં આજે અસલી ભાજપનું શાસન નથી પરંતુ ભાજપનું ભૂત ભમે છે. નકલી ભાજપની સરકારના મુખ્યમંત્રી ટૂંકી દ્રષ્ટિના રાજકારણી છે જે પ્રજાને શું આપશે?
- અડવાણીએ મને આશ્વાસન આપ્યું હતું કે મોદીને હટાવી દેવામાં આવશે પરંતુ આવું બન્યું ન હતું અને મોદીને પાર્ટીના સિદ્ધાંતોના ભોગે ગુજરાતના મુખ્યમંત્રી રૂપમાં યથાવત રાખવામાં આવ્યા હતા.
- મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ રાજધર્મ નિભાવ્યો નથી. એટલે આજે મારે પ્રજાધર્મ નિભાવવા માટે મેદાનમાં આવવું પડ્યું છે
- પહેલાં હું પટેલ સંમેલનમાં જતો ત્યાં કહેતો સમાજ ભયમાં છે. ત્યાર પછીના મારા અનુભવથી કહેવું પડે છે કે કોઈ એકલદોકલ સમાજ નહીં આખું ગુજરાત ભયના ઓથાર હેઠળ છે.
ગુજરાત પરિવર્તન પાર્ટીનાં પ્રમુખ કેશુભાઈ પટેલે પદ પરથી રાજીનામું આપ્યું છે. પરંતુ તેમના અનુગામી કોને બનાવવા તે મુદ્દે પક્ષમાં જુથવાદ હોય તેવુ પણ લાગ્યુ. તેમણે પ્રમુખ પદ માટે ગોરધન ઝડફિયા અને લલિત સુહાગિયાના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમજ પોતાની શારિરીક બીમારીઓ વીશે વાત કરી હતી. હવે તેઓ શારિરીક સક્ષમ નથી તેથી પાર્ટીની જવાબદારી છોડવા માંગુ છું. લલિત સુહાગીયાએ પ્રમુખ બનવાની ના પાડી હોવાથી ગોરધન ઝડફિયાને સર્વાનુમતે જીપીપીના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. બંધારણ પ્રમાણે પાર્ટીનાં કેટલાંક સભ્યોએ પ્રમુખ પદ માટે મતદાન કરવાની માંગણી કરી છે.