રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બેઠકો માટે ભાજપ આજે ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. જોકે આ વખતે કોઈ ઉમેદવારને રીપિટ નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે ઉમેદવારોના નામોની અટકળ તેજ બની છે. ગઈકાલે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના નામો અંગે ચર્ચા થઈ હતી. સુત્રોના મતે આજે નામ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યસભામાં ગુજરાતની કુલ 4 બેઠકો ખાલી પડી રહી છે. જેમાં કોંગ્રેસના ફાળે 1 અને ભાજપના ફાળે 3 બેઠકો આવે છે. રાજ્યસભામાંથી ભાજપના પુરુષોત્તમ રૂપાલા નટુજી ઠાકોર અને ભરતશસહ પરમાર સાંસદ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. આ ખાલી બેઠકો માટે 28મી જાન્યુઆરીએ ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ છે. જ્યારે સાતમી ફેબ્રુઆરીએ આ માટે મતદાન યોજાશે. અને એ જ દિવસે ચાર કલાકે મતગણતરી હાથ ધરાશે. આમ જોવા જઈએ તો મોદી શાસનમાં રાજ્યસભા માટે સ્થાનિક ઉમેદવારોને ક્યારે પણ રિપીટ કરાયા નથી. તેથી ત્રણેય સાંસદોને રિપીટ કરાય તેવી શક્યતા નહીંવત છે.