સ્ટેચ્ય્યૂ ઑફ યુનિટી સામે થયેલી જાહેર હિતની અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પડકારતી અરજી ફગાવી દેતા કોર્ટનો આ હુકમ રાજ્ય સરકાર માટે મોટી જીત સમાન છે. જાહેર હિતની અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી લેવાઈ ન હતી. એટલું જ નહીં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આટલી મોટી પ્રતિમા માટે પાયો મજબૂત હોવો જોઈએ. પરંતુ અહીં તો જમીન પર નહીં નદીમાં પ્રતિમા બનાવવામાં આવી રહી છે. સાથેસાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિકોના વિરોધની વચ્ચે પણ સરકાર આ પ્રોજેક્ટ પૂરો કરવા માગે છે. એટલું જ નહીં મોદીની પ્રસિદ્ધિ માટે લોકોના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આખરે કોર્ટે આ જાહેર હિતની અરજી ફગાવી દેતા મોદી સરકારને રાહત મળી છે.