સમાચાર પત્રો ન્યૂઝ ચેનલ અને રાજકીય પાર્ટીઓ જેવી રીતે આમ આદમી પાર્ટી અને કેજરીવાલને ગંભીરતાથી લઈ રહી છે તો શું આમ આદમી પાર્ટીની સ્થિતિ એટલી બધી મજબૂત થઈ ગઈ છે કે આ બધી જૂની પાર્ટીઓએ તેમનાથી ડરવું પડે?શું નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા અને વધતા કાર્યકરોની સંખ્યાથી ડરી ગઈ છે? શું નરેન્દ્ર મોદીને એવો ડર પેસી ગયો છે કે કેજરીવાલ તેમની બાજી બગાડી શકે છે?
એક રોટલી માટે લડતી બે બિલાડીઓ અને તેમને ઉલ્લુ બનાવી રોટલી ખાઈ જતા વાંદરાની વાર્તા બધાએ સાંભળી હશે વર્તમાન રાજકીય સ્થિતિ આ વાર્તા જેવી જ છે. ભાજપ અને કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ભાજપે તો છ મહિના પહેલા જ મોદીના માથે મુગટ મુકી મેદાનમાં ઉતારી દીધા છે. તો કોંગ્રેસ પણ હવે રાહુલ બાબાને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા ઉતાવળી બની છે. બે મહિના પહેલા સુધી તો એવું જ લાગતું હતું કે લોકસભાની લડાઈ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપની હશે. પરંતુ કોને ખબર હતી કે રાતોરાત કેજરીવાલ નામનો એક નવો નાયક ભારતીય રાજનીતિમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળશે. માંડ પાંચ ફૂડની ઉંચાઈ ધરાવતા અરશવદ કેજરીવાલ નામના આ વ્યક્તિએ એન્ટ્રી મારતાની સાથે જ વર્ષો જૂની પાર્ટીઓની રાજકીય ગણતરીઓ ઉંધી વાળી દીધી. ખાસ કરીને નરેન્દ્ર મોદીની. રાત દિવસ વડા પ્રધાન બનવાના સપના જોતા આપણા વહાલા મુખ્યમંત્રી પોતાની જીત પાક્કી માનીને જ બેઠા હતા.પણ કેજરીવાલે મોદીના હાથમાં બાબાજી કા ઠુલ્લુ પકડાવી દીધો. અનેક ભ્રષ્ટાચારો અને લોકોની અપેક્ષાઓમાંથી ઉતરી ગયેલી કોંગ્રેસને લગભગ સત્તાની હેટ્રિક નહિ જ મળે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. વાત રહી મોદીની. તો કોંગ્રેસની નબળી સ્થિતિના પરિણામે મોદી માટે વડા પ્રધાન બનવાની સારી તક હતી. પણ તેમને ક્યાં ખબર હતી કે રાજાના કુંવરની માફક કેજરીવાલ અને તેમની પાર્ટીની લોકપ્રિયતા દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધશે. સ્થિતિ જો આવીને આવી રહી તો 272 પ્લસનું ગાણુ ગાઈ રહેલા મોદી અને તેમના હાથમાં 100 કે વધુમાં વધુ 150 સીટ આવશે. આટલી સીટમાં ભાજપની સરકાર તો ન જ બને પરંતુ NDAની સરકાર પણ કોઈ કાળે ન બને. હાલ જે બે ત્રણ સર્વે થયા તેમાં લોકોએ એવું સાફ કરી દીધું કે તેઓ મોદીને વડા પ્રધાન પદે તો જોવા ઈચ્છે છે. પરંતુ કેજરીવાલને પણ તેઓ અવગણી ન શકે. હવે ધારી લઈએ કે કેજરીવાલની પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 50 કે 70 સીટ મળી તો પણ મોદી માટે સત્તામાં બેસવું શક્ય નહિ બને. કેમ કે કેજરીવાલ કોઈ પાર્ટીને સમર્થન તો આપવાના નથી. મતલબ કે તેઓ સત્તામાં બેસશે પણ નહિ અને મોદીને બેસવા પણ નહિ દે. રાજકીય પંડિતોનું માનીયે તો કોંગ્રેસ પણ એવું જ ઈચ્છે છે કે તેઓ ન જીતે તો કંઈ નહિ પરંતુ ભાજપ ન જીતવી જોઈએ. આવું ત્યારે જ બને જ્યારે કેજરીવાલની પાર્ટીને ચૂંટણીમાં મોટી સફળતા પ્રાપ્ત થાય. કોંગ્રેસની આવી રાજરમત મોદીને બરાબર સમજાઈ ગઈ છે. એટલે જ તેઓ અત્યારે ચિંતામાં છે. જેવી રીતે પરિણામ કરતા પરિણામ પહેલાનો ઉચાટ વધુ તકલીફ આપનારો હોય તેવી જ હાલત મોદીની છે. મોદી કદાચ એવું વિચારતા હશે કે ક્યાંક કાંઠે આવેલી હોડી ડૂબી ન જાય.