દેશમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ડુંગળીના ભાવ કિલોએ 100 રૂપિયા પહોંચી ગયા હતા. અને ચૂંટણી પત્યા બાદ તરત જ કિલોના 40 રૂપિયા થઈ ગયા. ત્યારે તફાવતના 60 રૂપિયા ક્યાં ગયા તેની તપાસની માગ ઓનિયન ફેડરેશનના ચેરમેન અને પૂર્વ નાણામંત્રી સનત મહેતાએ કરી છે.
ચાલુ વર્ષે ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ઘણો ચર્ચાનો વિષય રહ્યો. અને હવે રૂપિયા 80થી 100ના કિલોએ વેચાતી ડુંગળી એકાએક કિલોના 40 રૂપિયા થયા તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. ભાવનગર ડુંગળી ઉત્પાદનનું હબ ગણાય છે. અહીં માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક તો શરૂ થઈ છે. પરંતુ મણે રૂપિયા 60થી 200 મળતાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવીને હંગામો પણ મચાવ્યો હતો. ભાવનગરની મુલાકાતે આવેલા ઓનિયન ફેડરેશનના ચેરમેન સનત મહેતાએ ડુંગળીના ભાવના તફાવત સામે સવાલ ઉઠાવ્યો છે. દેશમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જે 100 રૂપિયે કિલો વેચાતી ડુંગળીના સીધા રૂપિયા 40 થઈ ગયા. ત્યારે તફાવતના રૂપિયા 60 ક્યાં ગયા તેની તપાસ માટે માગ કરી છે.
ભાવનગરમાં સામાન્ય રીતે 15થી 20 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ ખેજૂતોએ 36 હજાર હેક્ટરમાં વાવેતર કર્યું છે. ડુંગળીના ભાવ હજુ પણ ગગડશે તેમ મનાઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માર્કેટયાર્ડમાં આવક વધી રહી છે. ત્યારે સરકાર નિકાસ માટેના નિયમો હળવા કરવા જોઈએ તેમ વેપારીઓનું માનવું છે. ભાવનગર જીલ્લામા ડુંગળીના મબલખ ઉત્પાદનના કારણે આ વરસે ખેડુતોને જો પૂરતા ભાવો નહીં મળે તો ખેડૂતોના માથે દેવાના ડુંગર સર્જાશે તેમ મનાઈ રહ્યું છે.