છેલ્લા એક સપ્તાહથી જે રીતે અમદાવાદમાં સંક્રમણનાં આંકડાઓ સામે આવી રહ્યા હતા. તેમાં આજની સ્થિતિએ રાહતના સમાચાર છે. છેલ્લા બે દિવસથી સંક્રમણ અડધો -અડધ ઘટી ગયું છે.
કોરોના સામે અમદાવાદનો રાહતનો 'શ્વાસ'
બે દિવસમાં 50 ટકા કેસ ઓછા આવતા રાહત
નાગરીકો ધ્યાન રાખશે તો સંક્રમણ કાબૂમાં
ગુજરાતમાં કોરોના સંક્રમણના ડરાવનારા આંકડાઓ હવે હળવાશ આપે છે.પરંતુ તેનો મતલબ બેદરકારી દાખવવી કે ભીડનો હિસ્સો બનવું તેવો જરા પણ નહિ. છેલ્લા એક સપ્તાહથી જે રીતે અમદાવાદમાં સંક્રમણનાં આંકડાઓ સામે આવી રહ્યા હતા. તેમાં આજની સ્થિતિએ રાહતના સમાચાર છે. છેલ્લા બે દિવસથી સંક્રમણ અડધો -અડધ ઘટી ગયું છે. શનિવારે નોંધાયેલા આંકડા કરતા સોમવારે બિલકુલ 50 ટકા સંક્રમણ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જો કે, ત્રીજી લહેરની પીક વિશે તબીબો અને WHO હજુ પણ આશંકિત છે અને કહે છે કે, એ ચોક્કસ સમય આવવાનો બાકી છે.
સંક્રમણ નાથવાની અંતિમ બાજી નાગરીકોનાં હાથમાં
હાલ તો અમદાવાદે ઉતરાયણ પછીનાં તરતના દિવસોમાં ત્રીજી લહેરની પીક જેવા આંકડા જોયા. પણ, હવે સ્થિતિ નિયંત્રણમાં હોય, તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજ્ય સરકાર અને સ્થાનિક મહાનગર પાલિકાએ વેક્સિનેશનનું પ્રમાણ વધાર્યું છે. તેના પરિણામે, ઉત્તમ પરિણામો સામે આવી રહ્યા છે તે વાતને પણ નકારી શકાય નહિ. જો કે, સંક્રમણ ને નાથવા અને નકેલ કસવાની અંતિમ બાજી નાગરિકોના હાથમાં જ છે. સામાજિક અંતર, માસ્કની અનિવાર્યતાને સમજીને ટોળામાં એકત્રિત ના થવું ,અત્યારે તો એ જ અંતિમ ઉપાય છે.
ઘટી રહ્યા છે કેસ, પણ સાવચેતી તો રાખવી જ
ગુજરાતમાં ત્રીજી લહેરમાં આવતા કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 13,805 કેસ કોરોના પોઝિટિવ આવતા લોકો સહિત સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઈ છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4361 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1136 કેસ તો રાજકોટ શહેરમાં 889 કેસ, વડોદરા શહેરમાં 2534 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 325 કેસ, ભાવનગર શહેરમાં 295 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનો ફરી ભયવાહ રીતે વકર્યા હોય તેવુ લાગી રહ્યું છે. તો કોરોનાને લીધે 25 લોકોના મોત થયા છે. જ્યારે 13,469 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,35,148 સુધી પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.