દેશમાં કોરોનાનાં Omicron વેરિયન્ટે ફરી ટેન્શન વધાર્યું છે. હવે તંત્ર સફાળુ દોડતું થયું છે. પેલી ડિસેમ્બરથી કેટલાક ફેરફારો લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.
એમીક્રૉને વધાર્યું ટેન્શન
વિદેશથી આવતા મુસાફરો માટે આ વ્યવસ્થા
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર બ્રેક
14 દિવસની મુસાફરીની વિગતો આપવી પડશે
કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટ સામે લડવા માટે સરકારે હવે સતર્કતા વધારી પડી છે. વિદેશથી આવતા મુસાફરોએ 1 ડિસેમ્બરથી મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ આપવી પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે મોડી સાંજે આ માર્ગદર્શિકા જારી કરી હતી.
હવે અમુક સેન્સેટીવ દેશોમાંથી આવનારા લોકોનું ભારત આવતાની સાથે જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને એરપોર્ટ પર રોકવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવે ,તો તમણે ઘરે અથવા જ્યાં પણ રોકાયા હોય ત્યાં સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આઠમા દિવસે ફરી ટેસ્ટ થશે. જો આમાં પણ રિપોર્ટ નેગેટિવ આવે, તો તમારે આગામી સાત દિવસ જાતે જ ધ્યાન રાખવું પડશે.
અન્ય દેશોમાંથી આવનારાઓને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ તેઓએ 14 દિવસ સુધી સ્વયં-નિરીક્ષણ કરવું પડશે, જો તેઓ લક્ષણો દર્શાવે, તો તેઓએ વહીવટીતંત્રને જાણ કરવી પડશે. આ દેશોની ફ્લાઈટ્સના 5% મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવશે. જો પોઝિટિવ જણાય તો તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.
હજુ પણ સાચવવાનો સમય છે... બેદરકારી ભારે પડશે
નવી દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં રવિવારે કોરોના મામલે બેદરકારીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. સેંકડો લોકો સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન ખરીદતા જોવા મળ્યા હતા.
ટેસ્ટિંગ અને રસીકરણ વધારવા માટે રાજ્યોને સૂચના
કેન્દ્ર સરકારે રાજ્યોને સર્વેલન્સ અને વેકસીનેશનનો વ્યાપ વધારવા માટે સૂચના આપી છે. નિયંત્રણ નિયમોનો અમલ કરવા, પરીક્ષણો વધારવા અને હોટસ્પોટ પર નજીકથી નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં વિદેશી પ્રવાસીઓની સ્ક્રીનિંગ, કોરોના ટેસ્ટ અને ઇન્ફેકટેડના તાત્કાલિક જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવા પર ભાર મૂક્યો હતો. સરકારે એવા દેશોને ખતરાની યાદીમાં મૂક્યા છે જ્યાં નવા કેસ મળી આવ્યા છે.
ઓડિશામાં વૃદ્ધાશ્રમમાં 55 વૃદ્ધો અને 25 વિદ્યાર્થીનીઓને ઇન્ફેકશન
થાણેના વૃદ્ધાશ્રમમાં, બંને ડોઝ લેનારા 55 વૃદ્ધોને ઇન્ફેકશન
હવે કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં 306 સંક્રમિત થયા છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર બ્રેક
ગૃહ મંત્રાલયે રવિવારે બેઠક કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, વિદેશથી આવતા પ્રવાસીઓને તપાસવા અને મોનિટર કરવા માટે ટૂંક સમયમાં SOP જારી કરવામાં આવશે, ખાસ કરીને ઓમિક્રોનની હાજરી ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલ, વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન સહિત અનેક મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
અત્યાર સુધી આ દેશોમાં ફેલાયો
ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકો, જે સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખાયા હતા, તે ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, બોત્સ્વાના, ઇઝરાયેલ અને હોંગકોંગમાં પણ જોવા મળ્યા છે.
બ્રિટનમાં ફરીથી માસ્ક ફરજિયાત
બ્રિટનમાં વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, સરકાર ફરીથી ફેસ માસ્ક પહેરવાના નિયમો કડક કરવા જઈ રહી છે. જાહેર પરિવહન અને દુકાનોમાં લોકોએ ફરીથી માસ્ક પહેરવા પડશે.
દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાતે શરુ કર્યું કામ
દિલ્હી સરકારે રવિવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ની બેઠક પણ બોલાવી હતી. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે. તેમણે સમજાવ્યું કે હજી સુધી કોઈ કેસ આવ્યો નથી, પરંતુ એવું માની લેવું જોઈએ કે નવા પ્રકારો આપણી વચ્ચે છે. તેમણે લોકોને ગીચ વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવ્યું છે.
WHOએ ઓમિક્રોન વાયરસને 'વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન'ની શ્રેણીમાં મૂક્યું છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ સાઉથ આફ્રિકા, બેલ્જિયમ , હોંગકોંગ, બોત્સવાના સહિત બીજા ઘણા દેશોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોન કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટથી વધુ ખતરનાક છે. ઓમિક્રોનમાં 30થી વધારે મ્યુટેશન મળી આવ્યાં છે. જ્યારે ડેલ્ટામાં વેરિયન્ટમાં લગભગવ 15 મ્યુટેશન મળ્યાં હતાં. આ માટે ડેલ્ટાથી વધુ સંક્રમિત છે. WHOએ તેને 'વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન'ની શ્રેણીમાં મૂક્યું છે. નિષ્ણાતોએ લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. અને કહ્યું છે કે,વેક્સિનની ઈમ્યુનિટી પર નિર્ભર ન રહે. આશંકા છે કે, નવો વેરિયન્ટ વેક્સિનથી મળેલી રોગ પ્રતિકારક શક્તિ પર હાવી થઈ શકે છે. જો કે, સારી વાત એ છે કે, કોરોનાના નવા વેરિયન્ટને આરટીપીસીઆર દ્વારા જાણી શકાય છે.