આજે 12 વાગ્યે નવનિયુક્ત ત્રણ મંત્રીઓ કાર્યભાર સંભાળશે. જવાહર ચાવડા કેબિનેટ મંત્રી તેમજ યોગેશ પટેલ અને હકુભા જાડેજા રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમંત્રી મંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગો ફાળવ્યા છે.
જેમાં જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ વિભાગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષા તેમજ હકુભા જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપાયો છે.
આ ઉપરાંત રાજ્યમંત્રી વાસણ આહીરને પ્રવાસન પ્રભાગનો રાજ્યકક્ષાનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના અધ્યક્ષ તરીકે મધુભાઈ શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર તરીકે મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે.
આમ, રાજ્યસરકારમાં નવનિયુક્ત મંત્રીઓ શુભ મુહૂર્તમાં કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને 24 કલાકની અંદર મંત્રીપદ મળી જતાં ભાજપમાં નારાજગી જોવા મળી હતી.
જવાહર ચાવડાને ભાજપ દ્વારા મંત્રીમંડળમા સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનુ છે કે, જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. તેઓ દર વખતે લોકોના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે. તેમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળતો આવ્યો છે. આ સાથે જ તેઓ 6 ટર્મથી APMCના ચેરમેન પણ છે. આ ઉપરાંત તેઓ 4 વખત ધારાસભ્ય પણ ચૂંટાયેલા છે.