દુનિયાભરમાં જ્યાં કોવિડ-19 મહામારીનું સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે ન્યૂઝીલેન્ડ ઇતિહાસ રચી દીધો છે. દેશની સરહદ બંધ કર્યાં બાદ ત્રણ મહિના પછી ન્યૂઝીલેન્ડે પોતોના દેશમાં કોરોના વાયરસ ખત્મ થવા અંગેની જાહેરાત કરી છે. હાલમાં ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસ મહામારીનો કોઇ દર્દી નથી. દેશમાં એક્ટિવ કેસ પણ ઝીરો છે. જેને લઇને સોશિયલ મીડિયામાં લોકો જશ્નનો માહોલ ઉજવી રહ્યાં છે.
ન્યૂઝીલેન્ડે આજરોજ અંતિમ કોરોનાનો દર્દી સાજો થઇ ગયાની જાહેરાત કરી છે. છેલ્લા 17 દિવસથી આ દેશમાં એકપણ નવો કોરોના કેસ સામે આવ્યો નથી.
ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો અંતિમ દર્દી જેમની ઉંમર 50 વર્ષથી વધારે હતી. ઓકલેન્ડની રહેવાસી મહિલામાં છેલ્લા 48 કલાકમાં કોઇ લક્ષણ જોવા મળ્યાં નથી. ત્યારબાદ તેણીને માર્ગરેટ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડેન લોકલ સમય અનુસાર ત્રણ વાગે દેશના લોકોને સંબોધન કરવાના છે તેવા અહેવાલ પ્રાપ્ત થયાં છે. પ્રધાનમંત્રી આ દરમિયાન દેશમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ અંગે જાહેરાત કરી શકે છે.
ન્યૂઝીલેન્ડના ડાયરેકટર જનરલ ઓફ હેલ્થ એશલી બ્લૂમફીલ્ડે જણાવ્યું છે કે અંતિમ દર્દીના રિકવરી બાદ દેશમાં કોરોનાનો કોઇ એક્ટિવ કેસ નથી. 28 ફેબ્રુઆરી બાદ પહેલી વખત આ પ્રકારનું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ન્યૂઝિલેન્ડમાં જનસંખ્યા 49 લાખ છે. 28 ફેબ્રુઆરીના રોજ પહેલો કેસ સામે આવ્યાં બાદ ન્યૂઝીલેન્ડમાં કોરોનાના કુલ 1504 કેસ સામે આવ્યાં. જેમાં 22 લોકોનું કોરોનાના કારણે મૃત્યું થયું.