નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 133.80 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 5 લાખ 55 હજાર 21 ક્યુસેક પાણીની આવક થઇ છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે.
જળસપાટી વધતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે 4 લાખ 4 હજાર 900 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. જેથી નર્મદા અને ભરૂચના કાંઠાના 40 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે.
મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં વધારો
મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. કડાણા ડેમમાં પાણીની આવક 2 લાખ 57 હજાર 654 ક્યુસેક થઇ છે. કડાણા ડેમની સપાટી 414.6 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં પાણીની આવકથી ડેમના ગેટ ખોલી દેવાયા છે. કડાણા ડેમના 9 દરવાજા 10 ફૂટ ખોલાયા છે. જ્યારે 7 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાંથી 2 લાખ 55 હજાર 131 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરતના ઉકાઇ ડેમમાં પાણીની ધરખમ આવક
સુરતના ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉકાઈ ડેમમાં 1 લાખ 91 હજાર 471 ક્યુસેક પાણીની આવક થઇ છે. ઉકાઇ ડેમમાંથી 1 લાખ 12 હજાર 110 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. પાણી છોડવામાં આવતા વિયર કમ કોઝવેની સપાટીમાં વધારો થયો છે. વિયર કમ કોઝવેની સપાટી 8.39 મીટરે પહોંચી છે.
ખેડાનો વણાકબોરી ડેમ 12 ફૂટથી ઓવરફ્લો, કડાણા ડેમ, પાનમ ડેમમાંથી સતત પાણીની આવક
ખેડાનો વણાકબોરી ડેમ 12 ફૂટથી ઓવરફ્લો થયો છે. કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. પાણીની આવક થતા વણાકબોરી ડેમ ભયજનક સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. હાલ વણાકબોરી ડેમની સપાટી 232 ફૂટે પહોંચી છે. કડાણા ડેમમાંથી 2 લાખ 57 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે પાનમ ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા એલર્ટ આપી દેવાયું છે અને મહીસાગરના 11 ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે.