દિલ્હીમાં ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે પણ આ પરેડના રૂટને લઈને વિવાદ ઊભો થયો છે.
પાંચ જુદા જુદા રસ્તાથી દિલ્હીમાં દાખલ થશે ખેડૂતો
ખેડૂતોએ 100 કિમી સુધી પરેડ કરવાનું કર્યું એલાન
પોલીસે કહ્યું હજુ સુધી અમને કોઈ રૂટ આપવામાં આવ્યો નથી
દિલ્હીમાં બે મહિનાથી ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે 26 જાન્યુઆરીના રોજ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડને લઈને દિલ્હી પોલીસની મંજૂરી મળી ગઈ હોવાનું ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
પોલીસે કહ્યું વાતચીત ચાલુ છે
ખેડૂત સંગઠનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીમાં ખેડૂતોની પરેડને પોલીસની મંજૂરી મળી ગઈ છે અને તેને કિસાન ગણતંત્ર પરેડ નામ આપામાં આવ્યું છે. સંગઠનોએ કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતો ટ્રેક્ટર પર સવાર થઈને પાંચ જુદા જુદા રસ્તાથી દિલ્હીમાં દાખલ થશે અને 100 કિમી સુધી પરેડ કરવામાં આવશે. જોકે સામે પોલીસ કહી રહી છે કે હજુ તો વાતચીત ચાલુ છે. ખેડૂતોએ ટ્રેક્ટર પરેડનો રૂટ આપ્યો નથી અને તે રૂટ બતાવી દે પછી અમે નિર્ણય કરીશું.
ખેડૂતોની 100 કિમી લાંબી પરેડ
નોંધનીય છે કે પહેલા દિલ્હી પોલીસ સિંઘુ બોર્ડરથી ખરખૌદા ટોલ પલાજા સુધી પરેડની ઓફર આપી હતી જે 63 કિમીનો રૂટ છે સામે ખેડૂતોએ 100 કિમી લાંબા રૂટની માંગ કરી હતી.
યોગેન્દ્ર યાદવનું મોટું નિવેદન
આંદોલન સાથે જોડાયેલ સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવે કહ્યું કે દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચે વાતચીતનું પરિણામ આવી ગયું છે. 26મી જાન્યુઆરીએ દિલ્હી પોલીસ બેરીકેડને ખોલી દેશે અને અમે દિલ્હીમાં દાખલ થઈ જઈશું.
દિલ્હીમાં રોકાઈ નહીં શકે ખેડૂતો
નોંધનીય છે કે ખેડૂતોને દિલ્હીમાં રોકાવાની મંજૂરી આપવામાં આવી નથી જેથી પરેડ સમાપ્ત થયા બાદ પાછા બોર્ડર પર જતાં રહેવું પડશે. બીજી તરફ આ પરેડ માટે હજારોની સંખ્યામાં ખેડૂતો તૈયારી કરી રહ્યા છે અને પંજાબમાં કેટલાક શહેરોમાં પરેડની રિહર્સલ પણ કરવામાં આવી છે. બે રાજ્યોના વિવિધ જિલ્લાઓમાંથી આ પરેડમાં સામેલ થવા માટે ખેડૂતો પહોંચી રહ્યા છે.