કોરોનાનો કહેર તો સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ દેખાઈ રહ્યો છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનની પણ ફફડાટ છે. જો કે, હવે ઓમિક્રોનનો સબ સ્ટ્રેનને લઈને મોટો ખુલાસો થયો છે.
નવા ઓમિક્રોન વેરિઅન્ટે દુનિયાના મોટાભાગના દેશોને ચિંતામાં મૂકી દીધા છે. લગભગ આખી દુનિયામાં નવો ઓમિક્રોન વેરિઅન્ટ સબ-સ્ટ્રેન BA.2 ફેલાઈ ચૂક્યો છે. ઓમિક્રોનનો આ સ્ટેલ્થ સબ વેરિઅન્ટ એટલા માટે વધુ ખતરનાક છે કારણ કે તે આરટી-પીસીઆર ટેસ્ટથી પણ પકડાતો નથી. અહેવાલો અનુસાર, આ નવો સબ વેરિઅન્ટ દુનિયાના ભારત સહિત ૪૦ દેશમાં એન્ટ્રી કરી ચૂક્યો છે અને હવે તે ઝડપથી બાકીના દેશોમાં પણ ફેલાઈ શકે છે.
કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનના આ નવા સબ વેરિઅન્ટની BA.2 તરીકે ઓળખ થઈ છે. તેને સ્ટેલ્થ ઓમિક્રોન પણ કહેવાય છે. કેટલાક નિષ્ણાતો તેને કોરોનાનો નવો વેરિઅન્ટ ગણાવે છે, જ્યારે અન્ય કેટલાક તેને ઓમિક્રોનનો ભાઈ (સબ વેરિઅન્ટ) ગણાવે છે. તેનાથી દુનિયાભરમાં કોરોનાની વધુ એક ભયાનક લહેર આવવાનો ખતરો ઊભો થયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ૨૬ નવેમ્બર, ૨૦૨૧ના રોજ ઓમિક્રોન એટલે કે B.1.1.529ને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કર્યો હતો. WHOના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોનના ત્રણ સબ વેરિઅન્ટ - BA.1, BA.2 અને BA.3 છે. ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી ઓમિક્રોનના ૯૯ ટકા કેસમાં વેરિઅન્ટ BA.1 જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનનો બીજો સબ વેરિઅન્ટ BA.2 એટલે કે સ્ટેલ્થ ઓમિક્રોન સુપરસ્પીડે ફેલાઈ રહ્યો છે. આથી એવું માનવામાં આવે છે કે, આગામી દિવસોમાં આ નવા સબ વેરિઅન્ટના કારણે ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો આવી શકે છે.
ઈન્દોરમાં ઓમિક્રોનની સાથે સબ વેરિઅન્ટ BA.1 અને BA.2ના કેસ સામે આવ્યા છે. ઈન્દોરમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.2ના ૧૬ દર્દીઓ મળી આવ્યા છે, જેમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે. આથી ઈન્દોરમાં ફફડાટ વ્યાપી ગયો છે. BA.2થી સંક્રમિત દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટ આરટી-પીસીઆર ટેસ્ટમાં પણ પકડાતા ન હોવાથી તેને ‘છુપાયેલો ઓમિક્રોન’ એટલે કે ‘સ્ટેલ્થ ઓમિક્રોન’ કહેવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, BA.1 વેરિઅન્ટ મ્યૂટેટ થઈને BA.2 થઈ જતો હોય છે. આ વેરિઅન્ટમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની સાથે ઓક્સિજન સપોર્ટ પર પણ રાખવા પડે છે.
નવો સબ વેરિઅન્ટ ફેફસાંને ૪૦ ટકા સુધી સંક્રમિત કરે છે
ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ BA.2 એટલા માટે ખતરનાક છે, કારણ કે તે સંક્રમિતોનાં ફેફસાંને સૌથી વધુ પ્રભાવિત કરે છે અને પાંચથી ૪૦ ટકા સુધી ફેફસાને સંક્રમિત કરી નુકસાન કરે છે. ઈન્દોરમાં આ નવા સબ વેરિઅન્ટથી સંક્રમિતોના ફેફસામાં ૪૦ ટકા સુધીનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. ઈન્દોરની અરબિંદો હોસ્પિટલમાં દાખલ થયેલ ૧૭ વર્ષના એક સંક્રમિતનાં ફેફસાંને ૪૦ ટકા સુધી નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.