રાજ્યમાં કોરોનાના કેસ વધતા ધીરે ધીરે પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. જો કે રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાય છે ત્યાર બાદ બીજા ક્રમે સુરતનો નંબર આવે છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા બાદ હવે સુરત મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીટીબસ અને બીઆરટીએસમાં 50 ટકા મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે. ગઈકાલે સુરતમાં 690 કોરોનાના કેસ નોંધાતા તંત્ર હવે સાબદું થઈ ગયું છે. આગામી દિવસોમાં સુરત મનપા વધારે પ્રતિબંધો લગાવી શકે છે.
50 ટકા મુસાફરોથી દોડશે બસ
સુરતમાં કોરોનાના કેસ વધતા પાલિકા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે બસ માત્ર 50 ટકાની ક્ષમતા સાથે ચાલશે. વધારે મુસાફરો નહી બેસાડવામાં આવે. તેમજ બસ દરવાજા ખુલ્લા રાખીને જ દોડાવવામાં આવશે. બસને દરરોજ સેનેટાઇઝ કરવામાં આવશે. સામાજિક અંતર જાળવીને તેમજ માસ્ક પહેરીને જ બસમાં બેસવાનું રહેશે.
કોમ્યુનિટી હોલનું બુકિંગ બંધ
સુરત મનપા દ્વારા વધુ એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. પાલિકા હસ્તગત કોમ્યુનિટી હોલનું બુકીંગ આજથી બંધ કરવામાં આવ્યુ છે.
આગામી 45 દિવસ સુધી એક પણ કોમ્યુનિટી હોલ બુક ન કરવા તમામ ઝોનને સૂચના આપવામાં આવી છે. જો કે જે હોલ હાલમાં બુક થઇ ચૂક્યા છે તેમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
અમદાવાદમાં પણ આ નિયમો લાગુ
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચાલશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે AMTS અને BRTSની બસમાં મુસાફરી કરનાર લોકોએ હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે તથા નિયમ મુજબ સોશિયલ અંતરની જાળવણી પણ કરવી પડશે. સાથે જ મુસાફરી કરતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો જ ટીકીટ મળશે તેવો નિર્ણય પણ AMC દ્વારા લેવામાં આવ્યો છે