OBC અને આદિવાસી મત કબ્જે કરવા કોંગ્રેસની નવી રણનીતિ બનાવી છે. કોંગ્રેસ બે પૂર્વ કેન્દ્રીય મંત્રીને ચૂંટણી જંગમાં ઉતારશે. ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી લડશે ચૂંટણી.
OBC અને આદિવાસી મત કબ્જે કરવા કોંગ્રેસની નવી રણનીતિ
ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી લડી શકે ચૂંટણી
ચૂંટણી લડવા મુદ્દે VTVએ ભરતસિંહ સોલંકી સાથે કરી વાતચીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવવા પ્રયાસ શરૂ કર્યા છે. ઓબીસી અને આદિવાસીના મત કબ્જે કરવા કોંગ્રેસે નવી રણનીતિ બનાવી છે. કોંગ્રેસના બે પૂર્વ કેન્દ્રીય મંત્રી મિશન 2022ના ચૂંટણી જંગમાં ઉતરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભરતસિંહ સોલંકી પેટલાદથી ચૂંટણી લડશે. જ્યારે ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે.
કેન્દ્રીય નેતૃત્વએ બંને નેતાઓને ચૂંટણી લડવાનો કર્યો આદેશ
સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ બંને નેતાઓને ચૂંટણી લડવાનો આદેશ કર્યો છે. પ્રભારી રઘુ શર્માએ ચૂંટણી લડવા માટે તૈયારી કરવાની સૂચના આપી છે. બંન્ને નેતાની ચૂંટણી લડવાની ચર્ચા શરૂ થતાં VTVએ ભરતસિંહ સોલંકી સાથે ખાસ વાતચીત કરી.
'AAP સાથે નહીં કરવામાં આવે ગઠબંધન'
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, 'મારા માટે પાર્ટીનું કાર્ય સૌથી પહેલાં આવે છે. જો પાર્ટી આદેશ આપશે, તો હું ચૂંટણી લડીશ.' વધુમાં ભરતસિંહે AAP સાથેના ગઠબંધનને લઇને ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'ગઠબંધન મામલે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં.'