ગાંધીનગર: શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નવી શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓ મંગાવવાની જાહેરાત કરી છે. 2019માં નવી માધ્યમિક શાળાની મંજુરી માટેના નિયમોમાં શિક્ષણ બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે શાળાનું માલીકીનું રમત ગમતનું મેદાન અને પાર્કીંગની જગ્યા હશે તો જ નવી શાળાને મંજુરી મળશે.
નોંધનીય છે કે અત્યાર સુધી શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 ચોરસ મીટરનું માલીકીનું અથવા શાળાથી થોડા અંતરે ભાડાનું રમત ગમતનું મેદાન હોય તેવી શાળાઓને મંજુરી અપાતી હતી. મંજુરી મેળવવા માટે શાળાના સંચાલકો સ્કૂલથી થોડા દૂર અંતરે ભાડાનું મેદાન રાખી લેતી હતી. પરંતુ સ્કૂલો પાસે માલિકીનું રમત ગમતનું મેદાન હતું નહી. ત્યારે હવે સરકારના આદેશથી બોર્ડે આ જોગવાઈમાં ફેરફાર કરીને સ્કુલ સંચાલક પાસે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 ચોરસ મીટરની જગ્યા વાળું પોતાની માલીકીનું મેદાન હોવું ફરજિયાત કર્યું છે.
એટલે કે જેની પાસે માલિકીનું મેદાન નહીં હોય તેને શાળાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહત્વનું છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં જેટલી સ્કૂલોને મંજૂરી આપી તેમાંથી 6 હજાર 921 સ્કૂલો પાસે પોતાનું મેદાન જ નથી.