આંકડા પર નજર કરીએ તો દેશમાં દર વર્ષે લગભગ 85,616 માર્ગ અકસ્માતો ઓવરસ્પીડિંગના કારણે થાય છે જેમાં લગભગ 32,873 લોકો મૃત્યુ પામે છે.
ભારતમાં ઓવર સ્પીડિંગને કારણે અનેક મૃત્યુ
ટાયરોમાં હવે નવી ધારા ધોરણની ડિઝાઈન વપરાશે
મંત્રાલયે ટાયર માટે બે અલગ-અલગ સ્ટાન્ડર્ડ મોડેલ રજુ કર્યા
ટાયરોની નવી ડીઝાઇન 2023થી બધે લાગુ થશે
ઓવર સ્પીડિંગને કારણે વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વાહનોમાં ઉપયોગમાં લેવાનારા ટાયર માટે હવે કેટલાક નવા ધોરણો નક્કી કર્યા છે. તેણે હાલના ટાયરો માટે નવી ડિઝાઇન અને ધોરણના અમલીકરણ માટેનો સમય પણ નક્કી કર્યો છે. નવા ડિઝાઇન કરેલા ટાયરનું ઉત્પાદન 1 ઓક્ટોબરથી નવા ધોરણોને અનુરૂપ કરવામાં આવશે. હાલના ટાયરોમાં આ ધારાધોરણો 1 એપ્રિલ 2023થી લાગુ થશે, જેના સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઓવરસ્પીડિંગના કારણે 85,616 માર્ગ અકસ્માતો
દેશમાં દર વર્ષે લગભગ 85,616 માર્ગ અકસ્માતો ઓવરસ્પીડિંગના કારણે થાય છે જેમાં લગભગ 32,873 લોકો મૃત્યુ પામે છે. આ અકસ્માતો માટેનું એક મુખ્ય કારણ એ છે કે ઓવર-સ્પીડિંગના કારણે ટાયર ગરમ થઈને ફાટવું અથવા બ્રેક મારવા પર લપસી જવાને કારણે થાય છે. માર્ગ પરિવહન મંત્રાલય આવા અકસ્માતોને ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંત્રાલયે ટાયર માટે બે અલગ-અલગ સ્ટાન્ડર્ડ રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ નક્કી કર્યા છે અને બંનેની અમલવારી માટે સમયમર્યાદા પણ નક્કી કરી છે.
શું છે નવો નિયમ?
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના નિયમ 95માં સુધારો કરીને એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં મોટર વાહન ઉદ્યોગ ધોરણ 142:2019 મુજબ C1 (પેસેન્જર કાર), C2 (લાઇટ ટ્રક) અને C3 (ટ્રક અને બસ) માટે આવતા ટાયરો માટે રોલિંગ રેઝિસ્ટન્સ, વેટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ ઉત્સર્જન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ટાયર સ્ટેજ 2 ની સીમાઓ પૂરી કરવા વેટ ગ્રિપ, રોલિંગ રેઝિસ્ટન્સ અને રોલિંગ સાઉન્ડ ઉત્સર્જન કરશે.
શું થશે ફાયદો
ટાયરનો રોલિંગ રેઝિસ્ટન્સ વાહનોની ઇંધણ કાર્યક્ષમતાને અસર કરે છે અને વેટ ગ્રિપનો હેતુ બ્રેકિંગ સિસ્ટમની ગુણવત્તા સુધારવાનો અને ભીના રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ વધારીને વાહનોની સલામતીને વધારવાનો છે. રોલિંગ સાઉન્ડ ઉત્સર્જનનો સંબંધ વધુ ઝડપના કિસ્સામાં રોડ અને ટાયરની સપાટી વચ્ચેના સંપર્કથી નીકળતા અવાજ સાથે છે. નવા માપદંડો લાગુ થયા બાદ અચાનક બ્રેક મારવાથી વાહન પર ડ્રાઇવરનું નિયંત્રણ ઘટશે નહીં અને ટાયર ગરમ થઈને ફાટી જવાનું અથવા ભીનું થઈ જાય તો ટાયર લપસી જવાની શક્યતા પણ ઘટી જશે.
નિષ્ણાતોનો અભિપ્રાય, અકસ્માતો ઓછા થશે
બસ એન્ડ કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરમીત સિંહ તનેજાએ કહ્યું છે કે મંત્રાલયના આ નિર્ણયથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે. તેમ છતાં ટાયરના ધોરણો જૂના રસ્તાઓને અનુરૂપ છે. અગાઉ વાહનોની સ્પીડ એટલી વધારે ન હતી અને રસ્તાઓ પણ એટલા સ્મૂધ હતા કે અકસ્માત ઓછા થતા હતા. સમયની સાથે સાથે રસ્તાઓ પણ સુધર્યા છે અને વાહનોની સ્પીડ પણ વધી છે, જેના કારણે ઓવર સ્પીડિંગને કારણે અચાનક બ્રેક લાગવાની સ્થિતિમાં ટાયર ફાટવાની અને સ્લીપ થવાની આશંકા રહે છે, મંત્રાલયના આ નવા નિર્ણયથી દર વર્ષે ઓવર સ્પીડિંગને કારણે થતા અકસ્માતોમાં ઘટાડો થશે.