કેન્દ્રની મોદી સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા અંતર્ગત નવા સંસદ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે હવે તેને લઈને તેલંગણાની વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
તેલંગણા વિધાનસભામાં નવા સંસદ ભવનને લઈને પ્રસ્તાવ પાસ કર્યો
નવા સંસદ ભવનનું નામ ડો. બાબાસાહેબ આંબેડકરના નામ પર રાખવાની માગ
ઓવૈસીની પાર્ટીનું પણ સમર્થન મળ્યું, સર્વસમ્મતિથી પ્રસ્તાવ પાસ થયો
તેલંગણા વિધાનસભામાં મંગળવારે સર્વસમ્મતિથી એક પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર પાસે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનું નામ ડોક્ટર ભીમરાવ આંબેકરના નામ પર રાખવાનો આગ્રહ કર્યો છે. રાજ્યમાં વિધાનમંડળના બંને સદનમાં તેલંગણા સરકાર દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને રાજ્યના ઉદ્યોગ, માહિતી અને પ્રસારણ વિભાગ, નગરપાલિકા પ્રશાસન અને શહેરી વિકાસ મંત્રી ટી રામારાવે સદનમાં રજૂ કર્યો હતો.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ટી રામારાવે કહ્યું કે, નવનિર્મિત સંસદ ભવનનું નામ આંબેડકરના નામ પર રાખવું યોગ્ય રહેશે. જે સંવિધાનના નિર્માતા છે. પ્રસ્તાવ રજૂ કરતા ટી રામારાવે કહ્યું કે, મુખ્યમંત્રી કેસીઆરે સોમવારે ડો. આંબેડકરની મહાનતા વિશે વાત કરી હતી.
અહીં ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટાના પુનર્વિકાસનો ભાગ એવા નવા સંસદ ભવનનું કામ પુરુ થવાની તૈયારીમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ગત મહિને ભવનની છત પર બનેલા રાષ્ટ્રીય ચિન્હનું અનાવરણ પણ કર્યું હતું. કેન્દ્ર સરકારની આ યોજના નવા ભવનમાં સંસદનું શિયાળુ સત્ર આયોજીત કરવાની છે.
તો વળી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદ્દુલ મુસ્લિમીન અને કોંગ્રેસ પાર્ટીએ કેસીઆર સરકારના પ્રસ્તાવને પૂર્ણ સમર્થન કર્યું છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ત્યારે સદનમાં ભાજપના ધારાસભ્યો હાજર નહોતા. વિધાનસભા સ્પિકર પી. શ્રીનિવાસ રેડ્ડીએ સર્વસમ્મતિથી પ્રસ્તાવને ધ્વનિમતથી પસાર કરવાની ઘોષણા કરી હતી.
ટી રામરાવે આગળ કહ્યું કે, આબેંડકરે દેશને એક દિશા બતાવી અને નવા સંસદ ભવનનું નામ તેમના નામ પર રાખવાથી વધારે સારો વ્યક્તિ બીજો કોઈ હોઈ શકે નહીં. મંત્રીએ આગળ કહ્યું કે, આંબેડકર સામાજિક ન્યાય, લોકતંત્રની મહાનતા અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક હતા.