RBI આજે જણાવ્યું હતું કે દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો આવ્યો છે. જેનાથી આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે માટે પહેલાજ ઘટાડાયેલા વ્યાજ દરોમાં કોઈ અન્ય ફેરફારો કરાયા નથી અને આ સિવાય દેશની અર્થવ્યવસ્થા માટે અતિમહત્વપૂર્ણ એવા MSME સેક્ટરના વિકાસ માટે લોન રીસ્ટ્રક્ચરીંગનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સોનાના આભૂષણો પર લોનની મર્યાદા 90% સુધીની કરી દેવાઈ છે
મોંઘવારી પર અંકુશ મેળવવા વ્યાજ દરોમાં ફેરફાર નહિ
MSME ક્ષેત્ર માટેની લોન રીસ્ટ્રક્ચરીંગ યોજનાને મંજુરી
સોના પર મળવા પાત્ર લોનની સીમા વધારી 90 ટકા કરી
RBIના ગવર્નર શક્તિકાન્તા દાસે આજે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી મોનેટરી પોલીસી કમિટીની બેઠકમાં દેશની મોનેટરી પોલીસી અંતર્ગત વ્યાજ દરોને હાલમાં બદલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેમાં રેપો રેટને 4 ટકા, રીવર્સ રેપો રેટને 3.35 ટકા અને સીમાંત સ્થાયી સુવિધા એટલે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટીના દરોને 4.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે RBI દ્વારા ગત માર્ચ અને મેં મહિનામાં યોજાયેલી મોનેટરી પોલીસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં 1.15 ટકા ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો.
મોનેટરી પોલીસી એ કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરાતી મૌદ્રિક નીતિ છે. જે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માટે ખુબ જ મહત્વ ધરાવે છે અને તેમાં સ્થિતિ અનુસાર અર્થતંત્રની હાલત પ્રમાણે ફેરફાર પણ કરવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં RBI દ્વારા આ પોલીસી જાહેર કરવામાં આવે છે અને GDPના 4 ક્વાર્ટરના અનુસંધાને દર ક્વાર્ટર પછી તેની સમીક્ષા પણ કરવામાં આવે છે. આના માટે RBIના ગવર્નર સહિતના અમુક સભ્યોની ટીમ હોય છે જેની બેઠક મળે છે. આ બેઠકમાં ખાસ તો દેશમાં વધી કે ઘટી રહેલી મોંઘવારી દર અને ફુગાવા દરને લઈને તેને અંકુશમાં રાખવા માટેના નિર્ણયો લેવામાં આવે છે. વ્યાજ દરો એ કોઈ પણ દેશની બેંક માટે અર્થવ્યવસ્થાની હાલતને અનુસંધાને ડીમાંડ, માર્કેટમાં લિક્વિડટી, ઉત્પાદન અને સપ્લાય અને કોઈ આર્થિક ક્ષેત્રના વિકાસને વેગ આપવાના સાધનો પુરવાર થતાં હોય છે.
વધુમાં શું કહ્યું ગવર્નરે...
દેશમાં હાલમાં મોંઘવારી દર 6 ટકાથી વધી ચુકી છે માટે મૌદ્રિક નીતિને હાલમાં સોફ્ટ એપ્રોચ સાથે રહેવા દઈને તેમાં બદલાવ કરાયા નથી. આ સિવાય દેશમાં ફુગાવાના દરને 4 ટકા સુધી સીમિત રાખવાનું RBIનું લક્ષ્ય છે. જે વધુમાં વધુ 6% અને ઓછામાં ઓછી 2% સુધી જઈ શકે છે. જો કે જૂન 2020માં આ દર 6.09ટકા જેટલી નોંધાઈ હતી. જે હજુ વધુ વધવાની આશંકા છે. આ સિવાય GDPને લઈને તેમણે કહ્યું કે શરૂઆતમાં અર્થવ્યવસ્થામાં તેજી નોંધાઈ હતી પણ વધી રહેલા કોરોના કેસોને લઈને શહેરોમાં લોકડાઉન લાગુ કરાયા બાદ નકારાત્મક પરિણામો મળ્યા હતા. આમ સમગ્ર આર્થિક વર્ષ 2020 - 21માં GDP વધારાની દર નકારાત્મક રહેવાનું અનુમાન છે.
સોના પર લોનની મર્યાદા 75% થી વધીને 90% થઈ
આ મામલે ગવર્નરે RBIના નિર્ણયને લઈને કહ્યું હતું કે આ પહેલા દેશમાં સોનાના ઘરેણા અને ઝર ઝવેરાત પર તેની કિમતના 75% સુધીની જ લોન મળતી હતી જે સીમા હવે વધારીને 90% જેટલી કરવામાં આવી છે આમ હવે વધુ પ્રમાણમાં લોન લેવી સરળ બનશે. આ બાબતે તેમણે વધુમાં કહ્યું હતું કે આ રાહત મર્યાદા આ આર્થિક વર્ષના અંત એટલે કે 31 માર્ચ ૨૦૨૧ સુધી જ માન્ય રહેશે.
શું છે MSME માટેનો પ્લાન ?
MSME સેક્ટર દેશની અર્થવ્યવસ્થા માટે સૌથી મહત્વપૂર્ણ સેક્ટર છે કેમ કે દેશના કુલ રોજગારમાં સૌથી વધુ રોજગાર આપનારા પૈકીના એક મોખરાના ક્ષેત્ર તરીકેનું તે સ્થાન ધરાવે છે અને હાલમાં કોરોના અને તેના લીધે લદાયેલા લોકડાઉનના લીધે આ ક્ષેત્રની કમર તૂટી ગઈ છે. લઘુ, નાની અને મધ્યમ ક્ષેત્રની કંપનીઓ માટે લોન લેવી ઘણી મુશ્કેલ બની ગઈ હતી. જેમાં રાહત આપતા RBIએ MSMEના લોન રીસ્ટ્રક્ચરીંગ કરવાના નિર્ણયને બહાલી આપી છે, સાથે જ રીઝર્વ બેન્કે અન્ય બેંકોને કંપનીઓના માલિકો અને પ્રમોટરોમાં પરિવર્તન કર્યા વગર લોન રીસ્ટ્રક્ચરીંગ કરવાની સત્તા આપી હતી. આ સિવાય હાઉસિંગ અને નોન બેન્કિંગ ક્ષેત્રની ફાઈનાન્સ કંપનીઓ માટે અલગથી 10 હજાર કરોડની વિશેષ લિક્વિડટી સુવિધાની ઘોષણા પણ કરી હતી.