હાલમાં જ પશ્ચિમ બંગાળના પ્રવાસેથી ફરેલા રાકેશ ટિકૈતના બે નિવેદનોથી દિલ્હી-એનસીઆરના લોકોની ચિંતા વધી જવા પામી છે, આની સાથે જ ગાજિયાબાદ જિલ્લા વહીવટી તંત્રની મુશ્કેલીમાં પણ વધારો થઇ શકે છે.
રાકેશ ટિકૈતના બે મહત્વપૂર્ણ નિવેદન
પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરીને પરત ફર્યા ખેડૂત નેતા ટિકૈત
દિલ્હી-નોઇડાની બોર્ડરને સીલ કરી શકીએ છીએ : રાકેશ ટિકૈત
રાકેશ ટિકૈતે તેમના પહેલા નિવેદનમાં પ્રદર્શન સ્થળ પર પાક્કા બાંધકામની વાત કહી હતી અને બીજા નિવેદનમાં કહ્યું હતું કે જો જરૂર પડશે તો ફરીથી ખેડૂતો દિલ્હી-નોઈડાની ચિલ્લા બોર્ડરને ચક્કાજામ કરીને બંધ કરી શકે છે, પરંતુ જો આ થશે તો હજારો લોકોનું દિલ્હીમાં આવવું જવું મુશ્કેલ બની શકે છે.
રાકેશ ટિકૈતની ચેતવણી
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની સામે ખેડૂત આંદોલન વધુ એકવાર તીવ્ર બની શકે છે, અને જરૂર પડશે તો દિલ્હી-નોઈડાની ચિલ્લા બોર્ડરને વધુ એકવાર સીલ કરવામાં આવશે, નોંધનીય છે કે નોઈડાના સેક્ટર 145ના એક ખાનગી કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાકેશ ટિકૈતે આ વાત કહી હતી.
મહત્વનું છે કે આ મામલે તેમણે વધુમાં કહ્યું હતું કે હજુ સુધી આ મામલે ખેડૂતોની સમિતિ દ્વારા કોઈન પણ નિર્ણય લેવામાં આવ્યો નથી અને સરકારના કાનો સુધી પોતાની વાત પહોંચાડવા માટે અમે 26 માર્ચનું ભારત બંધનું એલાન તો આપ્યું જ છે, પણ જરુર પડે તો આ બોર્ડર પણ સીલ કરવામાં આવી શકે છે.
પોલીસતંત્ર તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું
નોંધનીય છે કે આ અગાઉ પણ ભારતીય કિસાન યુનિયન દ્વારા જ આ બોર્ડરને સીલ કરવામાં આવી હતી, પરંતુ ભારતીય કિસાન યુનિયન (ભાનુ)એ 26મી જાન્યુઆરીની હિંસાની ઘટના પછી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ તેના પછી પણ એક લાંબા સમય સુધી ખૂબ મોટી સંખ્યામાં પોલીસદળની અહીં તૈનાતી કરવામાં આવી હતી, આ મામલે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી, પણ આ નિવેદનથી પોલીસબેડામાં હલચલ જરૂરથી મચી જવા પામી છે.