દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે તબાહી મચી ગઈ છે, કુલ કેસની સંખ્યા 3 કરોડને પાર છે અને દુનિયાને આ વાયરસથી મુક્તિ ક્યારે મળશે તે હજુ કોઈ જંતુ નથી ત્યાં તો ચીનમાં ફરીથી નવો વાયરસ ફેલાઈ રહ્યો છે. ભારતના વૈજ્ઞાનિકોએ પણ આ વાયરસ ફેલાવવાના ખતરા પર ચેતવણી આપી છે.
ICMRના વૈજ્ઞાનિકોએ વધુ એક ચીની વાયરસની શોધ કરી
આ વાયરસ ભારતમાં પણ ફેલાય તેવી ક્ષમતા ધરાવે છે
વાયરસના સંક્રમણને જાણવા માટે વધુમાં વધુ લોકોનું સ્ક્રિનિંગ અને સિરમ સેમ્પલ લેવાની જરૂર
ચીનનો આ વાયરસ ભારતમાં પણ ફેલાય તેવી સંભાવના
ICMRના વૈજ્ઞાનિકોએ વધુ એક ચીની વાયરસની શોધ કરી છે જેનાથી દેશમાં બીમારી ફેલાઈ શકે છે અને તેનું નામ કેટ ક્યૂ વાયરસ નામ આપવામાં આવ્યું છે. કોરોના મહામારી સામે જંગ ચાલુ છે ત્યાં ચીનનો આ વાયરસ ભારતમાં પણ ફેલાય તેવી સંભાવના છે. એક તરફ જ્યાં કોરોના વાયરસના કારણે જંગ લડવી મુશ્કેલ પડી રહી છે એવામાં આ નવા વાયરસના કારણે ચિંતા ફેલાઈ શકે છે.
ચીન અને વિયેતનામમાં અત્યાર સુધી ઘણા બધા લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા
ICMRએ જે વાયરસની શોધ કરી છે તે અર્થ્રોપોડ જનિત વાયરસની શ્રેણીમાં આવે છે અને તે ભારતમાં પણ ફેલાય તેવી ક્ષમતા ધરાવે છે. આ ક્યૂલેક્સ નામક મચ્છરો અને ભૂંડમાં જોવા મળે છે અને વિવિધ અહેવાલોમાં દાવા કરવામાં આવ્યા છે કે ચીન અને વિયેતનામમાં અત્યાર સુધી ઘણા બધા લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને ભારતમાં પણ આ બીમારી થવાની શક્યતા છે.
આ વાયરસ સંક્રમણ ફેલાશે તો સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટ ઉભું થઇ જશે
ભારતમાં બે લોકોના સિરમ સેમ્પલમાં એન્ટી CQV એન્ટીબોડી (IGG Antibodies) મળી છે. ICMRની મેડિકલ પત્રિકા અનુસાર આ બંને સેમ્પલ કર્નાટમાં વર્ષ 2014 અને વર્ષ 2017માં લેવામાં આવ્યા હતા. ICMRના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વાયરસ સંક્રમણ ફેલાશે તો સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટ ઉભું થઇ જશે.
વાયરસના સંક્રમણને જાણવા માટે વધુમાં વધુ લોકોનું સ્ક્રિનિંગ અને સિરમ સેમ્પલ લેવાની જરૂર છે. ICMRના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે CQV વાયરસનું પ્રાથમિક હોસ્ટ ભૂંડ છે અને તે ફેલાવવામાં મચ્છરોનો હાથ હોય છે. ICMRએ કહ્યું છે કે ભારતમાં જે મચ્છરો છે તે આ વાયરસ પ્રત્યે સંવેદનશીલ છે અને સરળતાથી સંક્રમિત થઇ શકે છે, આ મચ્છરો ભૂંડ અને માણસોમાં પણ સંક્રમણ ફેલાવી શકે છે.