અમદાવાદમાં કોરોના વાયરસના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં હવે મોટા ભાગના વોર્ડમાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. શરૂઆતમાં તંત્રએ પણ જે વિસ્તારમાં વધુ કેસ સામે આવતા હતા ત્યાં કન્ટેન્મેન્ટ કરીને વિસ્તારને સીલ કરાતા હતા ત્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં પણ મોટા ભાગનાં વોર્ડમાં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે તંત્રએ પણ કન્ટેન્મેન્ટ વોર્ડની પોલિસીને અભરાઈએ ચઢાવી દીધી છે.
હવે નોન કન્ટેન્મેન્ટ વોર્ડમાં કેસની સંખ્યા વધતા લોકોમાં ગભરાટ
અમરાઈવાડીમાં નવા 37 કેસ સાથે કુલ કેસ 300ને પાર થયાઃ શહેરના 48માંથી 38 વોર્ડમાં કોરોનાના દર્દી મળ્યા
ઇન્દ્રપુરીમાં 16, નરોડા-ઓઢવમાં 15 અને સરખેજમાં 14 કેસ મળ્યા
કન્ટેન્મેન્ટ વોર્ડની પોલિસીને અભરાઈએ ચઢાવી દેવાઈ
શહેરના ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, અસારવા, મણિનગર, બહેરામપુરા, ગોમતીપુર, સરસપુર અને મણિનગર- એમ કુલ દસ વોર્ડને કોરોના કેસની સંખ્યામાં થયેલી ચિંતાજનક વૃદ્ધિને આધારે મ્યુનિ. તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ વોર્ડ જાહેર કરાયા છે. જોકે અગાઉ કોરોનાના એપી સેન્ટર બનીને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર જમાલપુર વોર્ડમાં આશ્ચર્યજનક રીતે કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, દરિયાપુર જેવા અન્ય કન્ટેન્મેન્ટ વોર્ડમાં પણ કોરોનાનો ઉપદ્રવ ઘટી રહ્યો હોવાનું તંત્રના આંકડાને જોતાં લાગે છે. બીજી તરફ નોન-કન્ટેન્મેન્ટ વોર્ડમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. જોકે તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ વોર્ડની પોલિસીને અભરાઈએ ચઢાવી દેવાઈ હોય તેમ મણિનગર બાદ નવા એક પણ વોર્ડને કન્ટેન્મેન્ટ વોર્ડ જાહેર ન કરાતા આ બાબત મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે.
કન્ટેન્મેન્ટ વોર્ડમાં પહેલા ખાસ ભાર મૂકયો હતો
શહેરના કુલ ૧૦ કન્ટેન્મેન્ટ વોર્ડ અને ગુલબાઈ ટેકરા વસાહતના મળીને કુલ ૧૧ કન્ટેન્મેન્ટ વિસ્તારના ૧૨.૯૮ લાખ લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેમાં સરસપુર-રખિયાલ વોર્ડની સૌથી વધુ ૧.૮૩ લાખ અને ગુલબાઈ ટેકરા વસાહતની સૌથી ઓછી ૭૫૪૪ વસ્તી કન્ટેન્મેન્ટ હેઠળ છે. આ વિસ્તારના લોકોને ઘરઆંગણે મેડિકલ સારવાર પૂરી પાડવા તંત્ર દ્વારા ૫૦થી વધુ ધન્વંતરિ રથની સુવિધા પૂરી પડાઈ હોઈ અત્યાર સુધીમાં ૮૪ હજારથી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. આમ સત્તાવાળાઓ કન્ટેન્મેન્ટ વોર્ડ પર ખાસ ભાર મૂકતા કેસ ઘટ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અમરાઈવાડીમાં કોરોનાનો રાફડો ફાટ્યો
બીજી તરફ નોન-કન્ટેન્મેન્ટ વોર્ડમાં કોરોનાનો કેર માઝા મૂકી રહ્યો છે. ગુરુવારે પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં એક િદવસે ૩૭ નવા કેસ મળ્યા હતા. અમરાઈવાડીના નરોત્તમનગર, સંકલ્પનગર, મંગુબેનની ચાલી, જોગમાયાનગર, જગદીશ પંડિતની ચાલી, મંગલપાર્ક સોસાયટી, મંગલમણિ કોમ્પ્લેક્સ, ઇસ્માઇલની ચાલી, હીરાબેનની ચાલી, લક્ષ્મીનગર, સાંઈબાબા સોસાયટી, બંસીધર સોસાયટી, ચુનીલાલ પાર્ક, આસોપાલવનગર, સ્લમ ક્વાટર્સ, ચંપાબેનની ચાલી, મ્યુનિ. ક્વાટર્સ, વિકાસનગર, સંજયનગરના છાપરા, શાંતિનગર, સત્યનારાયણનગર, પંડિતની ચાલી, લાખાભાઈની ચાલી, ભવાનીનગર, ગોસ્વામીનગર, બલિયાવાસમાં કેસ મળ્યા છે. મંગુબેનની ચાલીમાં પાંચ-પાંચ કેસ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
શહેરના કુલ ૪૮ વોર્ડ પૈકી ૩૮ વોર્ડમાં કોરોનાના દર્દી મળ્યા
અમરાઈવાડી ઉપરાંત ઇન્દ્રપુરી વોર્ડમાં ૧૬, નરોડા-ઓઢવ વોર્ડમાં ૧૫, સરખેજમાં ૧૪ કેસ મળ્યા છે. બુધવારે શાહીબાગમાં ૨૩ કેસ મળ્યા હતા. જ્યારે ગુરુવારે શાહીબાગમાં માત્ર બે કેસ નોંધાયા હતા. ગુરુવારે દરિયાપુરમાં ત્રણ, ખાડિયામાં પાંચ, શાહપુરમાં બે, ભાઈપુરામાં ચાર, ગોમતીપુરમાં છ, નિકોલમાં પાંચ, રામોલમાં ચાર, વસ્ત્રાલમાં નવ, બોડકદેવ- ચાંદલોડિયા- ખોખરા અને મણિનગરમાં એક-એક, ઘાટલોડિયામાં ત્રણ, બાપુનગરમાં નવ, કુબેરનગરમાં ત્રણ, સૈજપુરમાં ચાર, સરસપુરમાં પાંચ, ઠક્કરબાપાનગરમાં બે, જોધપુરમાં પાંચ, મક્તમપુરામાં પાંચ, વેજલપુરમાં પાંચ, બહેરામપુરામાં બે, દાણીલીમડામાં સાત, ઇસનપુરમાં આઠ, લાંભામાં છ, મણિનગરમાં પાંચ, વટવામાં ચાર, ચાંદલોડિયામાં બે, નારણપુરામાં પાંચ, સાબરમતીમાં બે અને વાસણામાં ત્રણ કેસ નોંધાયા હતા. આમ શહેરના કુલ ૪૮ વોર્ડ પૈકી ૩૮ વોર્ડમાં કોરોનાના દર્દી મળ્યા હતા.