મેડિકલ અને સાયન્સના ક્ષેત્રમાં તમામ સંશોધનો છતાં કેન્સર આજે પણ મોટો ખતરો બન્યું છે. કેન્સરના ઘણા પ્રકાર છે. તેનો ઇલાજ મુશ્કેલ અથવા અશક્ય પણ છે. કેન્સરના જે પ્રકારોનો ઇલાજ ઉપલબ્ધ છે તેની આડઅસર પણ હોય છે.
કીમોથેરેપીને કેન્સરના ઇલાજની સૌથી અસરકારક રીત માનવામાં આવે છે, જોકે તે માટે શરીરે ઘણું બધું નુકસાન પણ સહન કરવું પડે છે. આ જ કારણ છે કે વિજ્ઞાનીઓ સતત કેન્સરના ઇલાજ માટે એવી રીત શોધવાની દિશામાં પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે શરીર પર કોઇ પણ આડઅસર વગર બીમારીને ખતમ કરી શકાય.
હવે વિજ્ઞાનીઓએ એ દિશામાં મોટી સફળતા મેળવી છે. વિજ્ઞાનીઓએ બેક્ટેરિયાની મદદથી કેન્સરના ટ્યૂમરને ખતમ કરવામાં સફળતા મેળવી છે. આ પ્રક્રિયાથી શરીર પર દવાની આડઅસર વગર કેન્સરને સંપૂર્ણ રીતે ખતમ કરવું અશક્ય હોય છે. હાલમાં આ પ્રયોગ ઉંદરો પર સફળ રહ્યો છે. બોસ્ટન સ્થિત મેસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ડો. માઇકલ ડોને કહ્યું કે ઉંદર પર પ્રયોગ એ વાતની ગેરંટી નથી કે આ રીત મનુષ્ય પર પણ અસરકારક સાબિત થાય. આ પ્રયોગે એક આશા જરૂર જન્માવી છે કે શક્ય છે કે ભવિષ્યમાં આપણે તેના ઇલાજ માટે આપણા હિસાબે તૈયાર કરાયેલા કેટલાક બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ. આ પ્રક્રિયાની શક્યતા ૧૦૦ ટકા છે.
હવે વિજ્ઞાનીઓએ કેન્સર કોશિકાઓને નિશાન બનાવવા બેક્ટેરિયાને હથિયાર બનાવવાની તૈયારી કરી લીધી છે. પ્રયોગ દરમિયાન લાખો બેક્ટેરિયાને એક ઉંદરના કેન્સર ટ્યૂમરમાં મોકલવામાં આવ્યા. આ બેક્ટેરિયાને એ રીતે તૈયાર કરાયા હતા કે ટ્યૂમરમાં પહોંચ્યા બાદ તેમાંથી કેટલાક નેનો બોડીનું ઉત્પાદન થવા લાગે છે. સાથે સાથે બેક્ટેરિયા પોતાની સંખ્યા પણ વધારે છે. એક નિશ્ચિત સંખ્યા થયા બાદ દર્દીના શરીરમાં ૯૦ ટકા બેક્ટેરિયા જાતે મરી જાય છે. તેમાંથી બનેલું એન્ટીબોડી ટ્યૂમરને અંદરથી નબળું બનાવે છે અને જિન સીડી-૪૭ને નિશાન બનાવે છે. મરેલા બેક્ટેરિયા ટ્યૂમરમાંથી બહાર નીકળીને રોગપ્રતિકારક શક્તિને પોતાની તરફ આકર્ષે છે. આ બેવડા માર બાદ કેન્સર કોશિકાઓ માટે બચવાનું અશક્ય થઇ જાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં શરીર પર કોઇ આડઅસર થતી નથી.