ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ ધારાસભ્યો માટે નવા આવાસ બનાવવાની જોગવાઈ, વર્ષના બજેટમાં ધારાસભ્યો માટેના નવા આવાસની નાણાકીય જોગવાઈ કરાઈ છે
ગુજરાતમાં ધારસભ્યો માટે બનશે નવા લક્ઝૂરીયસ મકાન
ધારાસભ્યોના નવા મકાન માટે ના.મુ. નીતિન પટેલે જમીનનું કર્યું નિરીક્ષણ
5 માળની ઈમારતમાં ધારાસભ્યો માટે તમામ સુવિધાઓ હશે
ગુજરાતના ધારાસભ્યોને વધુ એક સવલત આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં ધારાસભ્યો માટેના સરકારી આવાસને બદલવામાં આવશે. અગાઉ ધારાસભ્યોના નિવાસ ત્રણ વખત બદલાઈ ચૂક્યા છે. જે બાદ ચોથી વખત ધારાસભ્યોના નવા આવાસ બનાવવાનું આયોજન થયું છે.
સૌ પ્રથમ ગાંધીનગરમાં સેક્ટર-17 ખાતે ધારાસભ્યોને નિવાસ કરવા માટે આવાસ બનાવવામાં આવ્યા હતા. તે સમયે એ આવાસ નાના હોવાના કારણે બાજુમાં નવા આવાસ બનાવવામાં આવ્યા હતા. જો કે, બીજી વખત બનાવેલા આવાસ પણ ધારાસભ્યોને માફક આવ્યા નહોતા. જેથી સેક્ટર 21 ખાતે આધુનિક આવાસનું બાંધકામ કરાયું હતું. તો ધારાસભ્યોની હવે નવી માગણી હોય તેવી રીતે સરકારે ફરીથી આવાસ બનાવવા માટે નાણાકીય જોગવાઈ કરી છે. આ વર્ષના બજેટમાં ધારાસભ્યો માટેના નવા આવાસની નાણાકીય જોગવાઈ કરાઈ છે.
ક્યાં બનશે ધારાસભ્યોના નવા આવાસ
મહત્વનું છે કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગના મંત્રી નીતિન પટેલે થોડા સમય અગાઉ સેક્ટર 17માં જર્જરીત સદસ્યાના નિવાસ સ્થાન જોયા હતા. આ સમયે માર્ગ-મકાન વિભાગના પણ અધિકારીઓ હાજર હતા. અને આ જ સ્થળ પર જૂના મકાનને તોડી 5 માળના લક્ઝૂરિયસ આવાસ ધારાસભ્યો માટે બનાવવાનું વિચારણા છે. આ જગ્યા માફક આવશે તો અહીં જ ધારાસભ્યો માટે નવા આવાસ બનાવવાની વાત ખુદ નીતિન પટેલે કરી છે.
ના.મુ નીતિન પટેલે કહ્યું કે, વિધાનસભામાં હાલ 182 ધારાસભ્યની સંખ્યા છે. પણ નવી વિધાનસભામાં 230 ધારાસભ્યોનો સમાવેશ કરી શકાય તેવી રચના કરવામાં આવી છે. અને MLAના નિવાસસ્થાનની સંખ્યા પણ 210થી વધારવામાં આવશે. જો ભવિષ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં વધારો થયો તો સમયસર તમામ MLAને તેમના નિવાસ પ્રાપ્ત થઈ શકે. જે નવી ઈમારત બનાવવામાં આવશે. તેમાં તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે. હાલ ધારાસભ્યોનો આવાસ સેક્ટર 21માં છે. આ સ્થળ પર 14 બ્લોકમાં 168 જેટલા આવાસ હાજર છે. જેનું ભાડું માત્ર 37.50 રૂપિયા છે. અને આ આવાસમાં ધારાસભ્યો ઓછા અને તેમના પરિચિતો વધુ રહેતા હોય છે.