લોકડાઉનને કારણે આખી દુનિયામાં વર્ક ફ્રોમ હોમ થઇ ગયું છે. સિનેમાહોલ બંધ છે અને ટીવી સીરિયલ્સનું શૂટિંગ પણ બંધ છે. એવામાં ઓટીટી પ્લેટફોર્મના દર્શકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. ત્યારે નેટફ્લિક્સ તેના પ્લેટફોર્મ પર એક મોટો બદલાવ કરવાની પ્લાનિંગ કરી રહ્યું છે.
નેટફ્લિક્સના યુઝર્સ માટે આવ્યા કામના સમાચાર
લોકડાઉનને કારણે ઓટીટી પ્લેટફોર્મના દર્શકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે
જો તમે નેટફ્લિક્સ પર કંઈ જોયું નથી તો થઈ જશે બંધ
વેબ સીરિઝ માટેનું પોપ્યુલર પ્લેટફોર્મ નેટફ્લિક્સે તેના બ્લોગમાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, જે યુઝર્સ લાંબા સમયથી નેટફ્લિક્સ પર એક્ટિવ નથી, તેમને નોટિફિકેશન મોકલવામાં આવશે અને પ્લાન અંગે પૂછવામાં આવશે. જો યુઝર્સ કોઈ જવાબ નહીં આપે તો તેમનું સબસ્ક્રીપ્શન તરત જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જોકે, એકાઉન્ટ બંધ થયા બાદ યુઝરનું મન બદલાય તો તે ફરીથી નેટફ્લિક્સનું સબસ્ક્રીપ્શન લઈ શકે છે.
નેટફ્લિક્સના પ્રોડક્ટ ઈનોવેશન હેડ Eddy Wuએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, નોટિફિકેશન દ્વારા એ તમામ યુઝર્સને સવાલ પૂછવામાં આવી રહ્યાં છે જેમણે એક વર્ષથી અથવા તો જ્યારથી તેમણે જોઈન કર્યું ત્યારથી નેટફ્લિક્સ પર કંઈ જોયું નથી. જેથી આવા યુઝર્સે જણાવવું પડશે કે, તેઓ તેમની મેમ્બરશિપ ચાલુ રાખવા માંગે છે કે નહીં. તેમણે આગળ કહ્યું- નેટફ્લિક્સના યુઝર્સ ઓછાં થવા તેના માટે કોઈ મોટી વાત નથી. ઈનેક્ટિવ એકાઉન્ટ તેના યુઝર બેસથી અમુક હજાર અથવા 1 ટકાથી પણ ઓછાં હશે. નેટફ્લિક્સ તેના સબસ્ક્રાઈબર્સનો પર્સનલાઈઝ્ડ ડેટા 10 મહિના માટે સ્ટોર કરે છે.
જો કોઈ યુઝર્સ નેટફ્લિક્સ પર ફરી સબસ્ક્રાઈબ કરશે તો તેના એકાઉન્ટની અગાઉ કરાયેલી સેટિંગ્સ અને તેના ફેવરિટ શોઝ ફરી મળી જશે. જે તેણે સબસ્ક્રિપ્શન છોડતા પહેલાં સેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ એક વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે. જેના પર યુઝર્સ ટીવી શોઝ, વેબ સીરિઝ અને ફિલ્મો જોઈ શકે છે. નેટફ્લિક્સ ભારતમાં 4 સબસ્ક્રીપ્શન પ્લાન ઓફર કરે છે. જેમાં 199 રૂપિયામાં મોબાઈલ, 499 રૂપિયામાં બેસિક, 649 રૂપિયામાં સ્ટાન્ડર્ડ અને 799 રૂપિયામાં પ્રીમિયમ પ્લાન સામેલ છે.