મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે હત્યા થઇ છે. આ હત્યાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. ગઇરાત્રીએ ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની તેના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. જોઇએ ઘટનાની સમગ્ર વિગત.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, મોરબીમાં ખોડીયાર ટ્રાવેલ્સના ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાની તેના ભત્રીજા જયરાજ વિજયસિંહ જાડેજાએ હત્યા નીપજાવી હતી. એક ચર્ચા મુજબ ટ્રાવેલ્સના ડ્રાઇવરને જયરાજે રૂપિયા આપ્યા હતા આ બાબતે કાકાએ તેને ઠપકો આપીને તમાચો મારી દીધો હતો.
જે બાદમાં ભત્રીજાએ ષડયંત્ર રચીને કાકાની હત્યા નિપજાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે જયરાજે મોડી રાત્રે કાકાને સમાધાન માટે બોલાવ્યા હતા. ટીનુભા અન્ય લોકો સાથે પહોંચ્યા હતા ત્યારે જયરાજ તેમજ તેના મળતિયાઓએ તેમની તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
આ બનાવમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે મૃતકના ભત્રીજા જયરાજ જાડેજા, અજયસિંહ વિજયસિંહ જાડેજા સહિત પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે. ખોડીયાર ટ્રાવેલ્સ મોરબીથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલે છે.