નેપાળમાં ભગવાન શ્રી રામનું જન્મસ્થળ હોવાનો દાવો કરનાર વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ હવે દેશમાં શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો આદેશ આપ્યો છે. ગયા મહિને જ ઓલીએ નેપાળના થોરી નજીક અયોધ્યાપુરીમાં ભગવાન રામનું જન્મસ્થાન હોવાનો દાવો કર્યો હતો અને નેપાળને રામનું સાચું જન્મસ્થળ જાહેર કર્યુ હતું.
વડાપ્રધાને ઠોરી અને માડીના જનપ્રતિનિધિઓ સાથે બેઠક
નેપાળની સરકારી સમાચાર એજન્સી રાષ્ટ્રીય સમાચાર સમિતિ પ્રમાણે વડા પ્રધાન ઓલીએ ફોન કરીને ઠોરી અને માડીના સ્થાનિક પ્રતિનિધિઓને બેઠક માટે કાઠમંડુ બોલાવ્યા હતા અને ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બનાવવાની તમામ જરૂરી તૈયારીઓ કરવા નિર્દેશ આપ્યો હતો.
માડીનું નામ બદલીને અયોધ્યાપુરી રાખવા કહ્યું
વડા પ્રધાને ઠોરી નજીક માડી નગરપાલિકાનું નામ બદલીને અયોધ્યાપુરી રાખવા ઉપરાંત નજીકના સ્થળો સરકાર હસ્તગત કરવા અને ભવ્ય રામ મંદિર બનાવવા અને રામ સીતા અને લક્ષ્મણની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવા જણાવ્યું છે.
નેપાળની સત્તાવાર સમાચાર એજન્સી અનુસાર વડા પ્રધાન ઓલીએ રામનવમી નિમિત્તે આ દશેરામાં ભૂમિ પૂજન કરીને મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું છે અને બે વર્ષ બાદ તેમણે રામનવમીના અવસરે મૂર્તિના અનાવરણ કરવાની વાત કરી છે. નેપાળ સરકારે મંદિરના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવાની ખાતરી પણ આપી છે.