ભારત-નેપાળ સરહદ પર તનાવ વચ્ચે નેપાળ સરકારે સરહદ પર ધરચુલા-ટીંકર રોડ બનાવવાનું કામ શરૂ કર્યું છે. આ રસ્તાની લંબાઈ 130 કિ.મી. છે. નેપાળે ધારચુલા-ટીંકર રોડ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાનું નિર્માણ શરૂ કર્યું છે. આ કામ નેપાળ આર્મીને સોંપાયું છે.
સમાચાર એજન્સી ANIએ નેપાળી આર્મીને ટાંકીને જણાવ્યું છે કે આ માર્ગની આશરે 50 કિલોમીટર ઉત્તરાખંડની સરહદ ભારત-નેપાળ સરહદની સમાંતર દેખાય છે. આ રોડ પ્રોજેક્ટનું કામ છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યું હતું. પરંતુ હજી સુધી માત્ર 43 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છે.
નેપાળ આર્મીએ રસ્તાના નિર્માણ માટે ઘાટીયાબઘર ખાતે બેઝ કેમ્પ તૈયાર કર્યો છે. આ રસ્તાના નિર્માણ પછી નેપાળના દુર્ગમ વિસ્તારમાં પ્રવેશ સરળ બનશે. અત્યારે ધારચુલા જિલ્લાના ટીંકર અને છંગારુના લોકોને પર્વતની બીજી તરફ જવા માટે ભારતમાંથી પસાર થવું પડે છે. આ રસ્તાના નિર્માણથી નેપાળી સેનાને પેટ્રોલીંગ કરવામાં અને ઝડપથી સરહદ સુધી પહોંચવામાં પણ મદદ મળશે.
નેપાળ આ રસ્તાનું નિર્માણ એવા સમયે કરી રહ્યું છે જ્યારે ભારત અને નેપાળ વચ્ચે થોડા સમય માટે તણાવનું વાતાવરણ છે. તાજેતરમાં જ ભારત તરફથી લીપુલેખમાં સડક નિર્માણના ઉદઘાટન પછી, નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ ગ્યાવલીએ કહ્યું હતું કે સરકાર છેલ્લા 12 વર્ષથી જાણે છે કે વિવાદિત ક્ષેત્રમાં ભારત માર્ગ બનાવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે નેપાળ આ મુદ્દે ચીન સાથે પણ વાતચીત કરશે. આ વિવાદ ત્યારે શરુ થયો જયારે 6 મહિના પહેલા ભારતે જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને નવો નકશો જાહેર કર્યો અને તેમાં કાલાપાનીને પણ ઉમેરી દીધું ત્યારે નેપાળે તેનો વિરોધ કર્યો. તે સમયથી નેપાળમાં દેશના નવા નકશાને જાહેર કરવાની માંગ થઈ રહી છે.
નેપાળ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નકશાને બાદ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ કહ્યું, 'હવે અમે આ ક્ષેત્રોને કૂટનૈતિક રીતે પાછા મેળવવાનો પ્રયાસ કરીશું, હવે આ મુદ્દો વધુ શાંત નહીં થાય, જો કોઈ અમારા પગલાથી નારાજ થાય તો અમે તેના વિશે પરવા નહીં કરીએ. અમે કોઈપણ કિંમતે અમારી જમીન પર દાવો કરીશું. ઓલીએ ભારતીય સેના પ્રમુખ મનોજ નરવણેના એ નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી જેમાં નરવણે કહ્યું હતું કે, લિપુલેખ અંગે નેપાળ કોઈ બીજાના ઈશારા પર વિરોધ કરી રહ્યો છે. ઓલીએ કહ્યું, અમે જે કંઇ કરીએ છીએ તે અમારા મનથી કરીએ છીએ. જો કે ઓલીએ એમ પણ કહ્યું કે તે ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે.
ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી ચીન સાથે વધુ ગાઢ સંબંધ ધરાવે છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ મહિનામાં જ્યારે પક્ષમાં ઓલી વિરુદ્ધ બળવો થયો ત્યારે ચીનના રાજદૂત હૌ યન્કીએ તેમની ખુરશી બચાવવામાં મદદ કરી. ઓલીએ આ આરોપ પર કહ્યું કે, કેટલાક લોકો કહે છે કે વિદેશી રાજદૂતે મારી સરકારને પડતાં બચાવી પણ આ નેપાળની પ્રજા દ્વારા ચૂંટાયેલી સરકાર છે અને કોઈ મને બહાર ફેંકી શકશે નહીં.