બિહારના સીતામઢીના સોનબરસા ખાતે શુક્રવારે ભારત-નેપાળ સરહદ પર નેપાળી પોલીસે પાંચ ભારતીયને ગોળી મારી દીધી છે જેમાં વિકેશકુમાર (25) નામના યુવકનું મોત નીપજ્યું છે. અન્ય ત્રણ ઇજાગ્રસ્ત લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય નેપાળ પોલીસે અન્ય એક ઘાયલ યુવાનને કસ્ટડીમાં લીધો છે. જો કે નેપાળ પોલીસ આની પુષ્ટિ કરી રહી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનબરસા બ્લોકના મલંગવા સરહદના પરસા ગામ નજીક ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી રહેલા ભારતીય ઉપર નેપાળના આર્મ્સ પોલીસ ફોર્સે ગોળીબાર કર્યો હતો. તેમાંથી ચારને તાત્કાલિક સીતામઢી શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ખેતરમાં કામ કરી રહેલા એકનું મોત નીપજ્યું હતું. આ ફાયરિંગનો આખો મામલો નારાયણપુર અને લાલબંદી બોર્ડર વિસ્તારમાં બન્યો છે.
SSBના 51મી બટાલિયનના ડેપ્યુટી કમાન્ડન્ટ સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આ મામલો શંકાસ્પદ છે અને તપાસ ચાલી રહી છે. નેપાળી પ્રવક્તા કહે છે કે તેઓ તેમના શસ્ત્રો છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કમાન્ડન્ટે જણાવ્યું કે મૃતકની ઓળખ વિકેશ યાદવ તરીકે થઈ છે.
આ સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં ઉદય શર્મા, ઉમેશ રામ અને શિવદયાલ યાદવને દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તે જ સમયે, એક નાગેન યાદવને નેપાળી પોલીસની કસ્ટડી હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ ફાયરિંગની ઘટના બાદ સરહદ પર તણાવ છે. SSB અને સ્થાનિક પોલીસ સ્થળ પર ખડકી દેવાઈ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં નકશા પર ભારત અને નેપાળ વચ્ચે તકરાર ચાલી રહી છે. નેપાળના નવા નકશામાં કાલાપાની અને લિપુલેખનો સમાવેશ થયા બાદ બંને દેશો વચ્ચેના સરહદ વિવાદ પરની વાટાઘાટો અંગે શંકાઓ ઉદભવી રહી છે. આ નવા નકશામાં નેપાળે કુલ 395 ચોરસ કિ.મી.નો વિસ્તાર પોતાનો બતાવ્યો છે. તેમાં લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની ઉપરાંત ગુંજી, નાભી અને કાટી ગામોનો સમાવેશ થાય છે.