ભારત અને નેપાળ વચ્ચે થોડા મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય સેનાધ્યક્ષ નેપાળના પ્રવાસ પર છે ત્યારે નેપાળ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે.
બંને દેશ વાતચીતથી મુદ્દાઓનું સમાધાન કાઢી લેશે : નેપાળ
ત્રણ દિવસીય નેપાળ પ્રવાસ પર છે જનરલ મનોજ મુકુંદ નરવણે
થોડા મહિનાઓ પહેલા નેપાળે નવો નકશો બહાર પાડીને ભારત સામે બાંયો ચડાવી હતી
નેપાળ અને ભારતના સંબંધો વર્ષો જૂના છે, એવામાં આજે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને ભારતીય સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણેએ મુલાકાત કરી. શુક્રવારે બંને વચ્ચે કાઠમાંડુમાં મુલાકાત થઇ. નેપાળના પીએમએ આશા વ્યક્ત કરીને વર્તમાન મુદ્દાઓને બંને દેશ વાતચીત કરીને સમાધાન કાઢી લેશે.
ભારતીય સેનાના નરવણે ત્રણ દિવસની નેપાળ મુલાકાત પર છે જ્યાં તેમને રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ નેપાળી સેનાના જનરલ તરીકેની માનદ ઉપાધી પણ પ્રદાન કરી. રાષ્ટ્રપતિ આવાસમાં તેમને આ સન્માન આપવામાં આવ્યું, જનરલ નરવણેને તલવાર પણ ભેંટ આપવામાં આવી.
નોંધનીય છે કે નેપાળમાં પીએમ ઓલી જ રક્ષામંત્રાલય પણ સંભાળે છે ત્યારે ભારતના જનરલ અને પીએમ ઓલી વચ્ચે મુલાકાત થઇ. આ મુલાકાત તેવા સમય પર થઇ રહી છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી ભારત અને નેપાળ વચ્ચે તણાવ જોવા મળ્યો છે. નેપાળે નવો નકશો પણ જાહેર કરી દીધો છે અને ભારતનાં કેટલાય વિસ્તારો પર દાવો ઠોકી દીધો છે.
ભારતનાં વિસ્તારોને પોતાના ગણાવ્યા બાદ નેપાળે ભારતે તેનો જોરદાર વિરોધ પણ કર્યો અને કહ્યું કે આવા કોઈ દાવા માન્ય રહેશે નહીં. તે બાદ ઓલી અને ભારત વચ્ચે ખૂબ નિવેદનબાજી પણ થઇ. નેપાળમાં રાજકીય સંકટ થયું અને ઓલી પર રાજીનામું આપવા માટે દબાણ વધ્યું ત્યારે પણ તેમણે ભારત પર આરોપો લગાવ્યા. તે બાદ ભગવાન રામને પણ તેમણે નેપાળી ગણાવી દીધા અને કહ્યું કે અસલી અયોધ્યા તો નેપાળમાં છે.
જોકે હવે નેપાળના પીએમ ઓલીની બોલી બદલાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેઓ વાતચીત કરવા માટે કહી રહ્યા છે.