હાલમાં ઉત્તરાખંડના ચમોલીમાં થયેલી આપદા સામેની બચાવ કામગીરી હજુ ચાલુ છે ત્યાં જ આવી વધુ એક દુર્ઘટનાની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તરાખંડમાં ગ્લેશિયરમાં થયું હતું ભંગાણ
2013ની કેદારનાથ હોનારત સાથે થઈ રહી હતી સરખામણી
નેપાળની ઓથોરિટી દ્વારા ભારતને અપાઈ ચેતવણી
આ વખતે આ ચેતવણી ભારતના પાડોશી દેશ નેપાળ દ્વારા આપવામાં આવી છે. નેપાળમાં એક તળાવમાં તિરાડો પડવાને કારણે શારદા નદીમાં પૂરના વધતા જોખમને લઈને 50 ગામોને અલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. નેપાળમાં મહાકાળી તરીકે ઓળખાતી શારદા નદીમાં પણ જળસ્તર વધવાની સંભાવના છે. આ ચેતવણીમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ધારચુલામાં નદી નજીક સ્થિત તળાવની આજુબાજુનું કોન્ક્રીટ નબળું પડી ગયું છે.
નેપાળના અધિકારીઓએ ભારતના અધિકારીઓને મોકલી નોટિસ
નેપાળના કંચનપુર જિલ્લાના અધિકારીઓએ ભારતના લખીમપુર ખીરીના જિલ્લા વહીવટીતંત્રને નોટિસ મોકલીને જણાવ્યું છે કે તેમના એક તળાવમાં સમારકામની કામગીરી ચાલી રહી છે, જેની તિરાડોનો પર્દાફાશ થયો છે અને આ કારણે નેપાળમાં મહાકાળી તરીકે ઓળખાતી નદીમાં પણ જળસ્ત્રાવમાં વધારો થવાની શક્યતા છે. આ ચેતવણીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ધારચુલામાં નદી નજીક તળાવની આજુબાજુનું કોન્ક્રીટ નબળું પડી ગયું છે અને તેના પર સમારકામ ચાલી રહ્યું છે.
જો કે, લખીમપુર ખીરીના જિલ્લા અધિકારીઓએ કહ્યું છે કે ઉત્તરાખંડમાં ગ્લેશિયર ભંગાણનો નેપાળના તળાવની તિરાડો સાથે કોઈ સીધો સંબંધ નથી અને ચિંતા કરવાની કંઈ વાત નથી. દરમિયાન લખીમપુર ખીરી અને પીલીભીતમાં શારદા નદી નજીક આવેલા 50થી વધુ ગામોના રહેવાસીઓને એલર્ટ કરાયા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, "જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે અને તેઓ બનબસા બેરેજના કર્મચારીઓ સાથે સતત સંપર્કમાં છે. જો જરૂર પડે તો ગામોને ખાલી પણ કરી શકાય છે. "
યુપી વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું,'ગભરાવાની કોઈ જરૂર નથી'
લખીમપુર ખીરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શૈલેન્દ્રસિંહે કહ્યું, ગભરાવા જેવું કંઈ નથી. અહીં એક ડેમ પર થોડી તિરાડો પડી હતી અને અમે તેના વિશે સાવચેતી રાખી હતી. તપાસ બાદ, અમે હવે નદીમાં પાણીની સપાટી પર સતત દેખરેખ રાખી રહ્યા છીએ અને બેરેજના અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છીએ.