નેપાળ પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકારે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓને મળતા ઈંધણ ભથ્થામાં 20 ટકાનો કાપ મૂક્યો છે.
પડોશી દેશ નેપાળમાં પણ આર્થિક સંકટ
સરકારી એજન્સીઓના ઇંધણ ભથ્થામાં 20% નો કાપ
13 એપ્રિલના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો
ભારતનો પડોશી દેશ નેપાળ પણ આર્થિક મોરચે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. વિદેશી હૂંડિયામણની કટોકટી અને વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમ પેદાશોના આસમાની કિંમતોએ સરકારને ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પાડી છે. નેપાળ સરકારે પોતાના મંત્રાલયો અને રાજ્યની માલિકીના સાહસોના ઇંધણ ભથ્થામાં 20 ટકાનો કાપ મૂક્યો છે.
કેબિનેટ બેઠકમાં નિર્ણય
નેપાળના નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણય 13 એપ્રિલના રોજ થયેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેઓએ વધુમાં કહ્યું કે, વધતી જતી વેપાર ખાધ, પ્રવાસી નાગરિકો દ્વારા મોકલવામાં આવતી રકમમાં ઘટાડો અને વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિવિધ મંત્રાલયો, એજન્સીઓ અને જાહેર તેમજ રાજ્યની માલિકીના સાહસોએ ઇંધણના બજેટમાં 20 ટકાનો ઘટાડો કરવો પડશે.
કોરોનાએ નુકસાન પહોંચાડ્યું
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય વિકાસ પ્રોજેક્ટ્સ, શાંતિ અને સુરક્ષા, આવશ્યક સેવાઓ તથા આગામી સ્થાનિક ચૂંટણીઓ વગેરે પર લાગુ નહીં થાય. નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિના કરતાં પણ વધારે સમયથી યુદ્ધ શરૂ છે અને તેના કારણે તેલની વૈશ્વિક કિંમતોમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. આ સાથે પર્યટન પર નિર્ભર નેપાળ કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી અટકી ગયા બાદ પોતાના વિદેશી ભંડારમાં ઘટાડાનો અનુભવ કરી રહ્યું છે.
વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરવા માટે નેપાળ સરકારે વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને દેશની બેંકોમાં ડોલર ખાતા ખોલવા અને રોકાણ કરવા વિનંતી કરી છે. આ સાથે સરકારે મોંઘી કાર, સોનું અને અન્ય મોંઘા માલની આયાતને પણ સખત બનાવી દીધી છે.